તાજમહેલ પાસે બનતા પાર્કિંગને તોડવાના આદેશ પર SCએ લગાવી રોક
તાજમહેલની પાસે બનેલા પાર્કિંગને તોડવા પર સુપ્રીમ કોર્ટોની રોક. તાજમહેલથી એક કિલોમીટર દુર આવેલો છે આ પાર્કિંગ. આ અંગે વધુ વાંચો અહીં..
તાજમહેલ પાસે બની રહેલ મલ્ટિલેવલ પાર્કિંગ તોડવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના રોજ તાજમહેલ પાસે લગભગ એક કિમી દૂર બનાવવામાં આવી રહેલ આ પાર્કિંગને તોડવા માટે ઓર્ડર આપ્યો હતો, જેની પર હાલ કોર્ટે રોક લગાવી છે. કોર્ટ દ્વારા હાલ કોઇ નવું નિર્માણ કામ ન કરવાનો તથા તે સ્થળ હાલ જે સ્થિતિમાં છે એમ જ રહેવા દેવાનો આદેશ આપ્યો છે. તાજમહેલના પૂર્વના દરવાજા પાસે એક કિમી દૂર આ પાર્કિંગનું નિર્માણકામ ચાલી રહ્યું હતું.
જસ્ટિસ એમ.બી.લોકુર તથા જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચ આ મામલે સુનવણી કરી રહી છે. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કોર્ટમાં એડિશનલ સૉલિસિટર જનરલ તુષાર મહેતા રજૂ થયા હતા. એસએસજી મહેતાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર તાજ મહેલના રક્ષણ અંગે કટિબદ્ધ છે અને કોર્ટ સામે આ અંગે એક પોલિસી રજૂ કરશે. જે પછી કોર્ટે આ કેસની આગળની સુનવણી માટે 15 નવેમ્બરની તારીખ આપી હતી. આ સુનવણી પર્યાવરણ તજજ્ઞ એમ.સી.મહેતાની પિટીશન પર થઇ રહી છે. તેમણે પીઆઈએલમાં તાજમહેલની સુરક્ષાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, ગેસના પ્રદૂષણ અને આસપાસના વિસ્તારમાં જંગલોના વિનાશની તાજમહેલ પર ખરાબ અસર થઇ છે.