નહીં છૂટે રાજીવ ગાંધીના હત્યારાઓ, સુપ્રીમે લગાવ્યો સ્ટે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના તમિળનાડુ સરકારના નિર્ણય બાદ રાજકીય વિવાદ ખડો થઇ ગયો હતો. આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરવામાં આવી હતી. જે અંગે સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને આ અંગેની વધુ સુનાવણી આગામી છ માર્ચે હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રાજીવ ગાંધીના હત્યારાઓની સજાને ફાંસીથી ઘટાડીને આજીવન કેદમાં બદલી નાંખી હતી. જેનો અર્થ એ થાય છે કે કેદી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેને જેલમાં રહેવાનું હોય છે. ત્યારે આ વચ્ચે તમિળનાડુ સરકાર દ્વારા આ કેદીઓને છોડી મુકવાનો નિર્ણય કર્યો હતો. જે વાત જાહેર થતાં વિવિધ પાર્ટી અને કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ આ નિર્ણય પાછળ કોઇ રાજકીય હેતું હોવાનું પણ જણાવવમાં આવી રહ્યું હતું.
આ વચ્ચે રાહુલ ગાંધીએ દખલગીરી કરતા કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાયર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન મનમોહન સિંહે તમિળનાડુ સરકારના નિર્ણય અંગે કહ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યાએ દેશની આત્મા પર હુમલો છે અને દોષીએનો છોડી મુકવાનો નિર્ણય કાયદા વિરુદ્ધ છે.