શિંદેની 'રાહુલ વંદના', કહ્યું 'યુવરાજ' બને વડાપ્રધાન
નવી દિલ્હી, 11 ઓક્ટોબર : ભારતીય જનતા પાર્ટી - ભાજપે લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના પીએમ પદના ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. આ સામે પરંપરા મુજબ કોંગ્રેસે હજી સુધી તેના પત્તા ખોલ્યા નથી. જો કે કોંગ્રેસની ગતિવિધિ કંઇક ઓર જ સંકેત આપી રહી છે. એક તરફ કોંગ્રેસમા ઉપાધ્યક્ષ યુવરાજ રાહુલ ગાંધી વડાપ્રધાન મનમોહન સિંહને પોતાના ગુરુ બનાવીને વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ મનમોહન સિંહ યુવરાજને હવે રાજા બનાવવાનું સૂચન કરી રહ્યા છે.
આ સ્થિતિને કારણે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવે તો વડાપ્રધાનનો તાજ કોના શિરે સજાવવામાં આવશે તે સ્થિતિ હજી અસ્પષ્ટ છે પરંતુ કોંગ્રેસના નેતાઓ ઇચ્છી રહ્યા છે કે આ વખતે યુવરાજનો રાજ્યાભિષેક થાય અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવે.
આ મુદ્દે મનમોહન સિંહ અગાઉ અનેકવાર પોતાની ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે. હવે આ યાદીમાં દિગ્વિજય સિંહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે પણ સાથ આપી રહ્યા છે. શિંદેની ઇચ્છા છે કે રાહુલ ગાંધી આ વખતે પાર્ટીની આગેવાની કરે અને વડાપ્રધાનની ખુરશી પર બિરાજે. તેઓ રાહુલ ગાંધીની યુવા સરકામાં ખુશીથી કામ કરવા માટે રાજી છે.
આ સંદર્ભમાં ગુરુવારે શિંદેએ પત્રકારો સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "મારી ઇચ્છા છે કે રાહુલ આ મહાન દેશના વડાપ્રધાન બને."