જમ્મુ-કાશ્મીરની 1 ઇંચ જમીન પણ પાકિસ્તાનને નહીં આપીએઃ સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે, કોઇ પણ એવું ન વિચારે કે ભારત પોતાના કોઇ રાજ્ય કે રાજ્યના વિસ્તારને આમ હારી જશે. આખું કાશ્મીર ભારતનું અંગ છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બંધવારે લોકસભા માં સ્પષ્ટ કરી દીધું હતું કે, ભારત પીઓકે હેઠળ આવનારી એક ઇંચ જમીન પણ જવા નહીં દે. તેમણે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન તરફથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાનો પાંચમો પ્રાંત ઘોષિત કરવાના પ્રસ્તાવને બરખાસ્ત કરે છે.
સુષ્માએ આપી સંસદને જાણકારી
સંસદમાં બીજૂ જનતા દળ(બીજેડી)ના સાંસદ ભતૃહરિ મહતાબ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાંચમો પ્રાંત બનાવવાની જાહેરાત કરી હતી. આ મુદ્દે સુષ્મા સ્વરાજે સંસદમાં સાફ કહ્યું હતું કે, કોઇ પણ એવું ન વિચારે કે ભારત પોતાના કોઇ પણ રાજ્ય કે રાજ્યના વિસ્તારને આમ હારી જશે. આખું કાશ્મીર ભારતનું અંગ છે. તેમણે આગળ ઉમેર્યું કે, સરકાર સહિત આખું સદન એ વાત સાથે સંમત છે કે સંપૂર્ણ કાશ્મીર ભારતનું છે. જ્યારે પાકિસ્તાન દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાંચમાં પ્રાંત ઘોષિત કરવાની ખબર આવી ત્યારે જ ભારતે સરકારે સમય વેડફ્યા વિના પાકિસ્તાનના આ નિર્ણયને બરખાસ્ત કર્યો હતો.
સુષ્મા સ્વરાજનું આ નિવેદન બે રીતે મહત્વપૂર્ણ છે. એક તો પાકિસ્તાન તરફથી કાશ્મીરના મુદ્દાને સતત આંતરરાષ્ટ્રીય મંચ પર લઇ જવામાં આવી રહ્યો છે. બીજું, અમેરિકા સંકેત આપી રહ્યું છે કે તે કાશ્મીરના મામલે મધ્યસ્થી બનવા તૈયાર છે, જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. આથી સંસદમાં આ નિવેદન દ્વારા સુષ્માએ સૌને યાદ અપાવ્યું છે કે, ભારત માટે કાશ્મીર તેનો પોતાનો જ એક ભાગ છે.
અહીં વાંચો - આ મામલે USનું મધ્યસ્થી બનવું ભારતને નથી મંજૂર
બ્રિટને પણ બરખાસ્ત કર્યો પાક.નો દાવો
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરૂફના વિદેશી મામલાના સલાહકાર સરતાજ અઝીઝે તેમને ગિલગિટ-બાલ્ટિસ્તાનને દેશનો પાંચમો પ્રાંત ઘોષિત કરવાની સલાહ આપી હતી. જો કે, આઝીઝને આ સલાહને બ્રિટિશ સાંસદ તરફથી જોરદાર ઝોટાકો મળ્યો હતો. બ્રિટનની સંસદમાં એક પ્રસ્તાવ પાસ કરી પાકિસ્તાનના આ દાવાને સંપૂર્ણપણે બંધારણની વિરુદ્ધ કહેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણ અનુસાર ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરનો ભાગ છે, જેની પર વર્ષ 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે.