થરૂરનું વિવાદી નિવેદન : સ્વામી વિવેકાનંદ માંસાહારી અને શરાબી હતા
તિરુવનંતપુરમ, 16 સપ્ટેમ્બર : પોતાના નિવેદનોને કારણે અવાર નવાર વિવાદમાં સપડાતા કોંગ્રેસના નેતા અને કેન્દ્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રી શશી થરૂર ફરીથી વિવાદમાં ફસાયા છે. આ વખતે પણ તેઓ તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શશી થરૂરે નિવેદન આપ્યું હતું કે સ્વામી વિવેકાનંદ કોઇ ખાસ સમુહ કે વર્ગ સાથે સંબંધ ધરાવતા નથી.
આ કાર્યક્રમમાં જ થરૂરે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ માંસાહારી હતા અને ક્યારેક ક્યારેક શરાબ પણ પીતા હતા. આ મુદ્દે રાજ્યના ભાજપા નેતા ઓ. રાજગોપાલે જણાવ્યું કે થરૂરે પોતાનું નિવેદન પાછું લઇ લેવું જોઇએ. આવું નિવેદન આપવા બદલ તેમણે માફી માંગવી જોઇએ.
આ જ મુદ્દે કેરળ ભાજપના અધ્યક્ષ વી મુરલીધરને જણાવ્યું કે જે કાર્યક્રમમાં શશી થરૂરે આ નિવેદન આપ્યું છે ત્યાં તેઓ સ્વયં હાજર હતા. મુરલીધરનનું કહેવું છે કે જો થરૂરે માફી નહીં માંગી તો અમે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરીશું.
બીજી તરફ શશી થરૂરનું કહેવું છે કે તેમણે આવું નિવેદન આપ્યું નથી. તેમણે ભાજપ પર ચૂંટણીને પગલે ગંદું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંઘના હજારો માણસો મને સોશિયલ મીડિયા પર બદનામ કરાવાનો પ્રયત્ન કરે છે. તેમણે મીડિયા ચેનલો પર પણ કાર્યક્રમ કવર કરવાનો અને ભાષણ નહીં સાંભળવાનો આરોપ લગાવ્યો છે.