ટેરર ફંડિંગ કેસમાં હિજબુલના ચીફના પુત્રની ધરપકડ
હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદશાહિદ યૂસુફની એનઆઈએ દ્વારા ધરપકડ
હિજબુલ મુજાહિદ્દીનના આગેવાન સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ શાહિદ યૂસુફની રાષ્ટ્રીય તપાસ એજન્સિ(એનઆઇએ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2011ના ટેરર ફંડિગના કેસમાં શાહિદ યૂસુફની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ બાબતે હવે એનઆઈએ તેની પૂછપરછ કરશે. શાહિદ પર આતંકીઓ પાસે પૈસા પહોંચડાવાનો આરોપ છે. શાહિદ યૂસુફ જમ્મુ-કાશ્મીરમાં કૃષિ વિભાગમાં જુનિયર એન્જિનિયર છે અને તેના પિતા સલાહુદ્દીનને આતંકનો પર્યાય માનવામાં આવે છે. એવામાં શાહિદ યૂસુફની ધરપકડને સુરક્ષા દળોની મોટા સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
ટેરર ફંડિંગનો કેસ
સલાહુદ્દીનના આદેશ બાદ શાહિદને સીરિયામાં રહેતા ગુલામ મોહમ્મદ બટ નામના વ્યક્તિએ પૈસા મોકલ્યા હતા. વર્ષ 2011થી 2014 દરમિયાન મોકલાયેલા આ પૈસાનો ઉપયોગ કાશ્મીર ઘાટીમાં આતંક અને અશાંતિ ફેલાવવા માટે થયો હતો. આ આરોપ હેઠળ જ શાહિદની ધરપકડ થઇ હતી.
કોણ છે સૈયદ સલાહુદ્દીન?
સૈયદ સલાહુદ્દીનના બે લગ્ન થયા છે અને તે પાકિસ્તાનમાં પોતાની બીજી પત્ની સાથે રહે છે. શાહિદ યૂસુફ તેની પહેલી પત્નીનો પુત્ર છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવમાં આવ્યો છે. તેની પર ભારતમાં અનેક આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ છે. તે હિજબુલ ઉપરાંત યુનાઇટેડ જિહાદ કાઉન્સિલ પણ ચલાવે છે. ગત વર્ષે જાન્યુઆરીમાં પઠાનકોટ એરબેસ પર થયેલ હુમલા પાછળ પણ સલાહુદ્દીનનો હાથ હોવાની વાત બહાર આવી હતી, આ હુમલાની જવાબદારી યુનાઇટેડ જિહાદ કાઉન્સિલે સ્વીકારી હતી.