તાજમહેલ વિવાદ: કોણે શું કહ્યું? કોણ કોના પક્ષે? જાણો અહીં
After Blot Row, UP CM Yogi Adityanath May Visit Taj Mahal on October.
તાજમહેલ અંગે ચાલતી દલીલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 26 ઓક્ટોબરના રોજ આગ્રા જનાર છે. આ દરમિયાન તેઓ તાજમહેલની પણ મુલાકાત લેશે, સાથે જ તેઓ તાજ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરશે. મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ પેહલીવાર તાજમહેલની મુલાકાત લેશે. ઉત્તર પ્રદેશ સરકારના પર્યટન વિભાગના પુસ્તકમાંથી તાજમહેલ બાકાત થયા બાદ આ મામલે ભાજપના સાંસદ સંગીત સોમના નિવેદન બાદ વાતાવરણ ગરમાયું છે. આ મામલે વિવિધ રાજકારણીઓના નિવેદનો આવી રહ્યાં છે.
શું કહ્યું હતું સંગીત સોમે?
સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર ધબ્બો ગણાવતા કહ્યું હતું કે, ઘણાં લોકોને દુઃખ થયું છે કે, આગ્રાના તાજમહેલને ઐતિહાસિક સ્થળોમાંથી કાઢવામાં આવ્યું. કયો ઇતિહાસ, ક્યાંનો ઇતિહાસ, એ ઇતિહાસ કે તાજમહેલ બનાવનારાએ પોતાના પિતાને કેદ કર્યા હતા? એ ઇતિહાસ કે તાજમહેલ બનાવનારે ઉત્તર પ્રદેશ અને ભારતના તમામ હિંદુઓના સર્વનાશનું કામ કર્યું હતું, એવા લોકોને જો આજે પણ ઇતિહાસમાં સ્થાન મળતું હોય તો એ દુર્ભાગ્યની વાત છે અને હું ગેરેન્ટિ સાથે કહું છું કે, ઇતિહાસ બદલવામાં આવશે. એ કલંક હતો, જે પુસ્તકોમાં લખવામાં આવ્યો, પછી એ અકબર હોય, ઔરંગઝેબ હોય કે બાબર હોય, તેમને ઇતિહાસમાંથી કાઢવાનું કામ અમારી સરકાર કરી રહી છે.
CM યોગીનું નિવેદન
અનેક ટીકા-ટિપ્પણીઓ બાદ યોગી આદિત્યનાથે પણ આ અંગે મૌન તોડતાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તાજમહેલ ભારતીય મજૂરોના લોહી અને પરસેવાથી બનેલ છે. કોણ શું કહે છે, એ મહત્વનું નથી. જરૂરી એ છે કે, ભારતીયોના લોહી અને પરસેવાથી બનેલ દરેક સ્મારકનું સંરક્ષણ કરવામાં આવે. પર્યટનની દ્રષ્ટિએ પણ સ્મારકોનું રક્ષણ જરૂરી છે.
આઝમ ખાને કર્યો વ્યંગ
સંગીત સોમના વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને વ્યંગ કર્યો છે. તેમણે સંગીત સોમ પર વ્યંગ કરતાં કહ્યું હતું કે, તાજમહેલ સિવાય રાષ્ટ્રપતિ ભવન અને સંસદ પણ ગુલામીના પ્રતિક છે. આ તમામને પણ નષ્ટ કરવા જોઇએ. આઝમ ખાને કહ્યું કે, હું પહેલેથી જ એ વાતે સંમત છું કે, ગુલામીની એ તમામ નિશાનીઓ નષ્ટ કરવી જોઇએ, જેમાંથી ગઇ કાલના શાસકોની ગંધ આવતી હોય. માત્ર તાજમહેલ જ કેમ? સંસદ, રાષ્ટ્રપતિ ભવન, કુતુબ મીનાર, લાલ કિલ્લો કેમ નહીં? આ સર્વે ગુલામીની નિશાની છે.
યુપી સરકારે હાથ ઊંચા કર્યા
સંગીત સોમના નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન ગણાવતાં યુપીના પર્યટન મંત્રી રીતા બહુગુણા જોશીએ કહ્યું કે, મુખ્યમંત્રી તાજમહેલ અંગે પહેલેથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યાં છે, તે આપણા વારસાનો એક ભાગ છે. અમારી સરકારે તાજમહેલની આસપાસ પાર્ક અને અન્ય સુવિધાઓ માટે 155 કરોડનું બજેટ ફાળવ્યું છે. સંગીત સોમના નિવેદન અંગે તેમણે કહ્યું કે, દરેકને પોતાના વિચારો રજૂ કરવાની છૂટ છે, પરંતુ સરકારનું તાજમહેલ પ્રત્યેનું વલણ સ્પષ્ટ છે. અમે અમારી પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે.
'આ BJPનો એજન્ડા છે'
તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દાને ભાજપનો એજન્ડ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભાજપનો સિસ્ટમેટિક એજન્ડા છે, ભારતની સંસ્કૃતિ અને વારસાને નષ્ટ કરવાનો. આનો વિરોધ થવો જોઇએ. મને ખબર નથી કે તેમણે તાજમહેલને બાકાત કઇ રીતે કર્યું. તેમણે મુઘલસરાઇનું નામ પણ બદલ્યું, પરંતુ હવે જો તેઓ ભારતનું નામ પણ બદલશે તો આપણે ક્યાં જઇશું?
સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો સહકાર
જો કે, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સંગીત સોમનો સાથ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું સંગીત સોમનો વકીલ નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે તાજમહેલ ચોરીની જમીન પર બન્યો છે. શાહજહાંએ આ જમીન માટે જયપુરના રાજા પર દબાણ કર્યું હતું. હું ટૂંક સમયમાં જ આ તમામ દસ્તાવેજો સાથે સામે આવીશ. અત્યારે આ કહેવું થોડો ઉતાવળિયું હોઇ શકે, પરંતુ તાજમહેલની પહેલા એ સ્થળે એક મંદિર હતું.