Target 145 : મોદી બનશે મહારાષ્ટ્રના નવા ‘Tiger’?
અમદાવાદ, 7 ઑક્ટોબર : કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ અને તેથી પણ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લોકસભા ચૂંટણી 2014 બાદ સૌથી મોટો પડકાર આવી ઊભો થયો છે. દેશના બે મહત્વના રાજ્યો હરિયાણા તથા મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે અને આ બંને ચૂંટણીઓમાં ભાજપ તથા નરેન્દ્ર મોદી બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ છે.
જોકે હરિયાણા કરતા વધુ રસપ્રદ અને મહત્વની ચૂંટણી મહારાષ્ટ્રની બની રહી છે, કારણ કે પાંચ વરસ બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં આ વખતે અનેક નવા અને વિચિત્ર સમીકરણો ઊભા થયા છે. આ સમીકરણોએ તમામ રાજકીય વિશ્લેષકોને મુંઝવણમાં મૂકી દીધા છે. બધા રાજકીય વિશ્લેષકો માથુ ખંજવાળી રહ્યા છે. કોઈ લોકસભાના અનુભવના આધારે મહારાષ્ટ્રનું આકલન કરવાની કોશિશ કરી રહ્યું છે, તો કોઈ મહારાષ્ટ્રનો ચૂંટણી ઇતિહાસ ફેંદી કયાસ કાઢવાના પ્રયત્નો કરી રહ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2009 કરતા 2014માં સૌથી મહત્વનું અને વિચિત્ર સમીકરણ એ છે કે આ વખતે મુકાબલો પંચકોણીય બની ગયો છે. 2009માં ભાજપ-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી યુતિઓ વચ્ચે મુકાબલો હતો, પરંતુ 2014માં આ ચારેય પક્ષો એકલા હાથે ચૂંટણી મેદાને ઉતર્યા છે, તો બીજી બાજુ 2009માં અસ્તિત્વ જ નહોતી ધરાવતા એમએનએસ આ વખતની ચૂંટણીમાં પાંચમુ પરિબળ બન્યું છે.
કોઈ પણ રાજ્યની જેમ મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક પક્ષો તરીકે શિવસેના અને હવે એમએનએસનો પણ દખલ રહ્યો છે, પરંતુ અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્રમાં સ્થાનિક પક્ષોની નીતિ મહદઅંશે પ્રાંતવાદ કે મરાઠાવાદ પર નિર્ભર રહેતી આવી છે અને એટલે જ ભાજપ-શિવસેના યુતિ સમાપ્ત થયા બાદ શિવસેના અને એમએનએસ તરફથી આ પ્રાંતવાદ-મરાઠાવાદને વધુ હવા આપવામાં આવી રહી છે. રાજ્યમાં શિવસેના મરાઠાવાદના નામે પોતાને વાઘ સમજે છે. એટલુ જ નહીં, શિવસેનાનું ચૂંટણી ચિહ્ન પણ વાઘ જ છે.
બીજી બાજુ શિવસેનાથી અલગ થયા બાદ પણ ભાજપમાં ઉત્સાહની કોઈ કમી નથી. ભાજપે આ આખો દાવ નરેન્દ્ર મોદીના બળે ખેલ્યો છે અને નરેન્દ્ર મોદી પણ ભાજપને ઉગારી લેવા જ નહીં, પણ જિતાડી દેવાની ઝુંબેશમાં નખ-શિખ જોર લગાવી રહ્યાં છે. આ ચૂંટણીમાં વિજયની અદ્ભુત સંભાવનાઓ વચ્ચે શિવસેનાનો વાઘ ત્રાડ પાડી રહ્યો છે, પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદી શિવસેનાના વાઘને બુટ્ઠો કરવા માટે કેન્દ્ર સરકારમાં પોતાના કામકાજ તથા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો હથિયાર અજમાવી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 288 બેઠકો છે અને બહુમતી માટે જોઇએ 145 બેઠકો. શું નરેન્દ્ર મોદી આ ટારગેટ 145 હાસલ કરી મહારાષ્ટ્રમાં નવા ટાઇગર તરીકે ઉપસવામાં સફળ થશે? ચાલો તસવીરો સાથે જાણીએ :

16મીએ મતદાન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ માટે આગામી 16મી ઑક્ટોબરે મતદાન થવાનું છે. રાજ્યના લોકો 288 બેઠકો માટે મતદાન કરશે.

Target 145
મહારાષ્ટ્રની ચૂંટણીમાં બહુમતી હાસલ કરવા માટે કોઈ પણ પક્ષને 145 બેઠકોની જરૂર પડશે.

મોદીની પ્રતિષ્ઠા દાવ પર
મહારાષ્ટ્રની ચૂંટણી નરેન્દ્ર મોદી માટે લિટમસ ટેસ્ટ બની ગઈ છે. ભાજપે શિવસેના સાથેની વર્ષો જૂની મૈત્રી તોડવાનો જે સાહસ કર્યો છે, તે નરેન્દ્ર મોદીના બળે જ કર્યો છે. ભાજપને ભરોસો છે કે મોદીનો જાદૂ મહારાષ્ટ્રમાં ચાલશે અને શિવસેના સાથેની યુતિ તુટ્યા છતા તેને એકલા હાથે બહુમતી મળી જશે.

સ્પષ્ટ બહુમતીનો આગ્રહ
નરેન્દ્ર મોદી પોતાની તમામ ચૂંટણી સભાઓમાં પ્રજા પાસે સ્પષ્ટ બહુમતી આપવાનો આગ્રહ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી લોકોને સ્પષ્ટ બહુમતીના ફાયદા પણ ગણાવે છે અને લોકોને રિઝવવાના પ્રયત્નો કરે છે.

પ્રાંતવાદ-મરાઠાવાદ
નરેન્દ્ર મોદી સામે મહારાષ્ટ્રની ચૂંટણીમાં સૌથી મોટો પડકાર પ્રાંતવાદ અને મરાઠાવાદ છે. શિવસેના અને એમએનએસ સહિતના સ્થાનિક પક્ષો ભાજપ સહિતના રાષ્ટ્રીય પક્ષોને મહારાષ્ટ્રના દુશ્મન ચિતરવાનો પ્રયત્ન કરે છે, જ્યારે નરેન્દ્ર મોદી પ્રાંતવાદ-મરાઠાવાદથી ઉપર રાષ્ટ્રવાદ, વિકાસ સહિતના મુદ્દા ઉઠાવી રહ્યા છે.

Tiger બનશે મોદી?
જો મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી જાય, તો તેનો સીધો શ્રેય નરેન્દ્ર મોદીને જ જશે, કારણ કે ગોપીનાથ મુંડે બાદ મહારાષ્ટ્ર ભાજપમાં કોઈ મોટો નેતા નથી. નરેન્દ્ર મોદી જે રીતે સભાઓ ગજવી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ છે કે મોદી ટારગેટ 145 હાસલ કરવા માટે કંઈ પણ કરી છૂટશે અને તેઓ મહારાષ્ટ્રમાં નવા ટાઇગર તરીકે ઉપસી આવશે.












Click it and Unblock the Notifications
