મોદીની માફક ચા વેચતા કેશવ પ્રસાદ, આજે બન્યા ડેપ્યુટી CM
કેશવે 14 વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડી દીધું હતું અને વિશ્વ હિંદુ પરિષદના દિગ્ગજ નેતા અશોક સિંહલ સાથે જોડાયા હતા. અશોકના પડછાયાની માફક તેઓ ડગલે ને પગલે એમની સાથે રહેતા.
ઇલાહાબાદ ફૂલપુરના સાંસદ અને ભાજપ ના ઉત્તર પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્ય હવે યુપીના નાયબ મુખ્યમંત્રી બની ગયા છે. કોશવ પ્રસાદ મૌર્ય પણ ક્યારેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક ચા વેચવાનું કામ કરતા હતા. કૌસાંબીના ભાગલા પહેલાનું ઇલાહાબાદ એ તેમની જન્મભૂમિ છે. કૌસાંબી જિલ્લાના નિર્માણ સાથે કેશવનો પરિવાર ત્યાં સ્થાયી થયો હતો. જો કે, 14 વર્ષી ઉંમરે જ તેમણે ઘર છોડી દીધું હતું, કેશવ આજે પણ ઇલાહાબાદમાં જ રહે છે.
ફૂલપુરના સાંસદ કેશવ પ્રસાદ મૌર્ય
ઇલાહાબાદની ફૂલપુર બેઠકના સાંસદ કેશવે પીએમ મોદીની માફક જ આખા દેશમાં સૌથી વધુ મત મેળવી જીતનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો અને ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, કેશવ પ્રસાદ મૌર્ય રાજકારણમાં લાંબી સફર કાપશે. થયું પણ એવું જ, ભાજપે તેમને યુપીના અધ્યક્ષ બનાવ્યા અને ત્યાર બાદ તેમને પાછું વળીને જોવાની જરૂર નથી પડી. કેશવના નેતૃત્વમાં જ ભાજપે યુપીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
રેલવે સ્ટેશન બહાર ચા વેચતા હતા
કેશવનું નાનપણ ગરીબીમાં વીત્યું, તેઓ પોતાના પિતા સાથે નાનકડા રેલવે સ્ટેશનની બાહર ઠેલા પર ચા વેચતા. કેશવ પ્રસાદ મૌર્યની વાર્તા ઘણે અંશે પીએમ મોદીની વાર્તા સાથે મેળ ખાય છે. મોદી જ્યારે સાંસદ બની દેશના વડાપ્રધાન બન્યા, તો તેમની સાથે જ કેશવ પણ સાંસદ તરીકે ચૂંટાયા. જો કે, કેશવના નસીબમાં હજુ પણ ઉત્તર પ્રદેશની સેવા કરવાનું લખાયું છે. હવે તેઓ યોગી આદિત્યનાથ સાથે ઉત્તર પ્રદેશ રાજ્યની સરકારનો કારભાર સંભાળશે.
કેશવના નાનપણની વાર્તા
કેશવ પ્રસાદ મૌર્યએ ભણતર તથા પોતાના પરિવારનો ખર્ચ કાઢવા માટે ઘણા વર્ષો સુધી ફુટપાથ પર ચા વેચવાનું કામ કર્યું હતું. તેઓ સવારે ઊઠી સૌ પ્રથમ સાયકલ પર પેપર વેચવા નીકળતા. ત્યાર બાદ તેઓ આખો દિવસ ચાના ઠેલા પર કામ કરતાં.
14 વર્ષની ઉંમરે છોડ્યું ઘર
તેમણે 14 વર્ષની ઉંમરમાં પોતાનું ઘર છોડી દીધું અને વિશ્વ હિંદુ પરિષદના દિગ્ગજ નેતા અશોક સિંહલનો હાથ પકડ્યો. તેઓ અશોકના પડછાયાની માફક હંમેશા તેમની સાથે રહેતા. સિંહલનું દરેક સૂચન તેઓ સાચા શિષ્યની માફક માનતા અને આમ તેમણે જાતે જ પોતાનું ભાગ્ય ઘડ્યું.
ધારાસભ્યની ચૂંટણીમાં જનમત કર્યો કબજે
કેશવ નાનપણથી ભાજપ સાથે જોડાયેલા છે. પરંતુ ઔપચારિક રીતે તેમણે વર્ષ 2007માં રાજકારણમાં પ્રવેશ કર્યો. ઇલાહાબાદ વેસ્ટ બેઠક પરથી ભાજપની ટિકિટ પર તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા, પરંતુ તેમને જનમત ન મળ્યો. વર્ષ 2012માં કૌસાંબીની સિરાધૂ બેઠક પરથી ફરી તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમાજવાદી પાર્ટીની અસર હેઠળ પણ તેઓ જનમત મેળવવામાં સફળ રહ્યાં.
સાંસદ બની રચ્યો ઇતિહાસ
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઇલાહાબાદની ફૂલપુર બેઠક પર પાંચ લાખથી વધુ મત જીતીને તેમણે ઇતિહાસ રચ્યો. કેશવની મદદથી જ ભાજપને ફૂલપુરની બેઠક પર પહેલીવાર જીત મળી હતી.
ભાજપનો દાવ
કેશવે પોતાના તેજસ્વી ભાષણ થકી પીએમ મોદીને ખૂબ પ્રભાવિત કર્યા હતા, જે પછી તેમને એપ્રિલ 2016માં ભાજપના યુપી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કેશવે ઓબીસી, પછાત વર્ગ તથા અન્ય વર્ગના મતદાતાઓને પાર્ટી સાથે જોડ્યા. ટિકિટ વહેંચણીમાં એમણે એવું સોશિયલ એન્જિનિયરિંગ કર્યું, જેનો તોડ વિપક્ષો છેલ્લી ઘડી સુધી મેળવી ન શક્યાં. વિધાનસભા ચૂંટણીમાં કેશવે અઢીસો જેટલી સભાઓ ભરી અને તેમને સોંપાયેલ જવાબદારી યોગ્ય રીતે પૂરી પાડી. ભાજપને ઉત્તર પ્રદેશમાં પૂર્ણ બહુમત મળ્યા બાદ પાર્ટીમાં તેમનું માન વધ્યું અને આખરે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂક થઇ.
અહીં વાંચો