તેજ પ્રતાપ-ઐશ્વર્યા વચ્ચે શું છે વિવાદની અસલી જડ, ‘જીજાજી' એ જણાવી
તેજ પ્રતાપ યાદવના જીજાજી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સચિવ ચિરંજીવ રાવે તેજ પ્રતાપ-ઐશ્વર્યા છૂટાછેડા મામલે મોટુ નિવેદન આપ્યુ છે.
લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવ હાલમાં સમાચારોમાં છવાયેલા છે. તેજ પ્રતાપે પોતાની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવા માટે પટનાની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમના લગ્ન અંગે રોજ મોટી વાતો સામે આવી રહી છે. છૂટાછેડા મામલે પોતાના પરિવારનું સમર્થન તેમની પત્ની ઐશ્વર્યાને મળ્યા બાદ તેજ પ્રતાપ થોડા દિવસો માટે ગાયબ થઈ ગયા હતા. જો કે હવે તેજ પ્રતાપ સામે આવી ગયા છે પરંતુ પત્ની સાથે છૂટાછેડાની વાત પર અડગ છે. આ વચ્ચે તેજ પ્રતાપ યાદવના જીજાજી અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય સચિવ ચિરંજીવ રાવે આ મામલે મોટુ નિવેદન આપ્યુ છે.
આ પણ વાંચોઃ '310 FIR બાદ પણ છત્તીસગઢના સીએમ પર કોઈ કાર્યવાહી નહિ': રાહુલ ગાંધી
તેજપ્રતાપના છૂટાછેડા પર શું બોલ્યા ચિરંજીવ રાવ?
તેજપ્રતાપ યાદવના જીજા ચિરંજીવ રાવે આ મામલે શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ, ‘મીડિયા કારણવિના આ બાબતને મોટુ સ્વરૂપ આપીને બતાવી રહી છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્નને હજુ 6 મહિનાથી પણ ઓછો સમય વીત્યો છે. ઘણી વાર પતિ-પત્નીને એકબીજાને સમજવામાં થોડો સમય લાગે છે. પતિ-પત્ની વચ્ચે મતભેદો થવા સામાન્ય વાત છે. તેજપ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચે પણ મામૂલી પારિવારિક મનમોટાવ છે. તેજપ્રતાપ યાદવની રુચિ પહેલેથી જ ધાર્મિક કાર્યો પ્રત્યે છે. તેજપ્રતાપ ધાર્મિક સ્થળો પર જઈ રહ્યા છે કે જે સામાન્ય વાત છે. પરિવારમાં કોઈ પ્રકારની ચિંતા નથી અને ટૂંક સમયમાં મામલો ઉકેલી લેવામાં આવશે. આ અમારા પરિવારનો મામલો છે. આને તૂલ આપવો યોગ્ય નથી.'
કોણ છે ચિરંજીવ રાવ?
ચિરંજીવ રાવ હરિયાણાના પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કેપ્ટન અજય યાદવના પુત્ર છે. ચિરંજીવના લગ્ન લાલુ પ્રસાદની પુત્રી અનુષ્કા યાદવ સાથે 24 એપ્રિલ, 2012માં થયા હતા. 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન ચિરંજીવ રાવની લાલુ પ્રસાદ યાદવ સાથે મુલાકાત થઈ હતી. ચિરંજીવ હરિયાણા યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં ચિરંજીવ એનએસયુઆઈના સચિવ પદ પર નિયુક્ત થયા હતા. ચિરંજીવ હાલમાં પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે મધ્ય પ્રદેશમાં છે. તેમણે જણાવ્યુ કે અહીંથી તે સીધા બિહાર જશે.
છૂટાછેડાના સમાચારોથી બગડી લાલુની તબિયત!
આ પહેલા શનિવારે જ તેજપ્રતાપ યાદવના નાના ભાઈ તેજસ્વી યાદવ પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવને મળવા રાંચી સ્થિત હોસ્પિટલ ગયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે તેજપ્રતાપ યાદવના છૂટાછેડા સંબંધી સમાચારો સામે આવ્યા બાદથી જ લાલુ યાદવ ખૂબ ચિંતિત છે અને તેમની બિમારી પણ વધી ગઈ છે. તેજપ્રતાપ સાથે મુલાકાત દરમિયાન લાલુએ તેમને સમજાવવાની પણ કોશિશ કરી હતી પરંતુ વાત બની નહોતી. તેજપ્રતાપ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યા છે કે તેમને હવે છૂટાછેડા જોઈએ. માનવામાં આવી રહ્યુ છે કે શનિવારે તેજસ્વી યાદવ પોતાના પિતા લાલુ યાદવની તબિયત જોવા અને રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે તેમને મળવા પહોંચ્યા હતા.
પાંચ દિવસોથી ગાયબ તેજપ્રતાપ શુક્રવારે મળ્યા!
તેજપ્રતાપ યાદવ શુક્રવારે દિલ્લીમાં પોતાના ભાઈ તેજસ્વી યાદવને જન્મદિવસની શુભકામના પાઠવવા માટે પહોંચ્યા. તેજપ્રતાપ દિવાળી પહેલા કોઈ કહ્યા વિના અચાનક ગાયબ થઈ ગયા હતા અને પાંચ દિવસ બાદ મીડિયા સામે આવ્યા. તેજપ્રતાપ યાદવે કહ્યુ, ‘હું દિલ્લી પહોંચી ચૂક્યો છુ. આજે મારા નાના ભાઈ તેજસ્વી યાદવનો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ હું તેને ગળે મળીને શુભકામના પાઠવવા આવ્યો છુ. હું ક્યાંય ગાયબ નહોતો, જ્યાં પણ હતો પોતાના પરિવારના સંપર્કમાં હતો. પરિવાર સાથે મારી કોઈ નારાજગી નથી પરંતુ હું વ્યક્તિગત કારણોથી ચિંતિત છુ.'
આ પણ વાંચોઃ શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની, આ નેતાઓની પત્નીઓ પણ કમાણીમાં આગળ