તેલંગાણા મુદ્દો : આજે ચાર કેબિનેટ પ્રધાનો રાજીનામા આપી શકે
નવી દિલ્હી/હૈદરાબાદ, 2 ઓગસ્ટ : અલગ તેલંગાણા રાજ્યની રચના અંગે કોંગ્રેસ દ્વારા સહમતિ અપાયા બાદ પણ આ વિવાદ અટકાવાનું નામ લઇ રહ્યો નથી. અલગ તેલગાણાનો વિવાદ દિવસે દિવસે વધારે ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. સૂત્રો જણાવે છે કે ચાર કેબિનેટ પ્રધાનો આ મુદ્દે આજે શુક્રવારે રાજીનામા આપી શકે છે.
આ અંગે એક ન્યુઝ ચેનલ દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે કેબિનેટ પ્રધાનો રાજીનામા આપી શકે છે તેમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પલ્લમ રાજુ, પુરંદેશ્વરી, જે ડી શીમલ અને કૃપારાનીના નામનો સમાવેશ થાય છે. આ પ્રધાનો ઉપરાંત સીમાન્ધ્રના 10 સાંસદઓ અંગે પણ અહેવાલ મળી રહ્યા છે કે તેઓ પણ આ મુદ્દે રાજીનામા આપી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર મંત્રીઓ અને 10 સાંસદોએ ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે એક ગહન બેઠક યોજી હતી. આ બેઠક પહેલાના ઘટનાક્રમમાં આંધ્રપ્રદેશની કોંગ્રેસ સરકારના 37માંથી 19 મંત્રીઓએ ગુરુવારે રાજીનામા આપી દીધા હતા. મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી સાથે મુલાકાત કર્યા બાદ આ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામા આપવાના સિલસિલામાં 9 મંત્રીઓ ઉપરાંત 26 ધારાસભ્યોએ પણ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામા સોંપી દીધા છે.