J&K:કુપવાડાના આતંકી હુમલામાં 3 જવાન શહીદ, 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના પંજગામ સેક્ટરના આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો છે, જેમાં કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા છે તથા 2 આંતકી ઠાર મરાયા છે.
જમ્મુ-કાશ્મીર ના કુપવાડામાં આંતકી હુમલો થયો હોવાની ખબર છે. કુપવાડાના પંજગામ સેક્ટરના આર્મી કેમ્પ પર આ આતંકી હુમલો થયો હતો. આ આંતકી હુમલામાં એક કેપ્ટન સહિત 3 જવાન શહીદ થયા હતા. સુરક્ષાદળો દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશનમાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા.
આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો
પ્રાપ્ત જાણકારી અનુસાર આતંકવાદીઓએ ગુરૂવારે સવારે 5.15 વાગ્યે કુપવાડાના પંજગામ વિસ્તારના આર્મી કેમ્પમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા. પરંતુ સુરક્ષાદળના જવાનોએ સમયસર તેમનો ઇરાદો સમજી લેતાં આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરવામાં નિષ્ફળ રહ્યાં. આતંકીઓને રોકવા સુરક્ષાદળોએ કરેલ હુમલામાં 2 આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણમાં 5 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. તેમને શ્રીનગર હોસ્પિટલમાં દાખલ કરવા માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
પંજગામ શ્રીનગર થી 87 કિમી અને પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર(પીએકે)ની રાજધાનીથી લગભગ 74 કિમી દૂર આવેલું છે. આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ આતંકવાદીઓ બોર્ડર પાર કરીને આવ્યા હોવાની શંકા છે. આ દરમિયાન અલગાવવાદી નેતા અસિયા અંદ્રાબીની પણ ધરપકડ કરવામાં આવી છે.
અહીં વાંચો - નક્સલ હુમલા પછી CRPFના વડાની નિમણૂક છે ખૂબ જ જરૂરી
ઇન્ટેલિજન્સ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં જ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે, 100થી વધુ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. આ રિપોર્ટના એક જ દિવસ બાદ આ આતંકી હુમલો થયો છે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું છે કે, પાકિસ્તાને આ આતંકવાદીઓને પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીર મોકલ્યા છે. આ આતંકવાદીઓનું કામ છે, જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ઉત્પન્ન કરતાં વિરોધી તથા અલગાવવાદીઓની મદદ કરવી.