આ પાંચ વિવાદો સાથે જોડાયેલી હતી શશિ-સુનંદાની પ્રેમકાણી
ગાંધીનગર, 18 જાન્યુઆરી: કેન્દ્રિય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત દિલ્હીની એક હોટલમાં થયું છે. હોટલમાંથી તેમની લાશ પથારીમાંથી મળી આવી હતી. સુનંદા પુષ્કર મૂળ કાશ્મીરના સોપોર જિલ્લાની રહેવાસી હતી પરંતુ આતંકવાદના લીધે તેનો પરિવાર જમ્મૂ આવીને રહેવા લાગ્યો હતો. સુનંદા પુષ્કરના પિતા સેનામાં ઓફિસર રહી ચૂક્યાં છે. શશિ થરૂરની સાથે જ્યારે સુનંદા પુષ્કરના લગ્ન થયા હતા, ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં રહી હતી, સુનંદા પુષ્કર અને શશિ થરૂર 22 ઓગષ્ટ 2010ના રોજ લગ્નગ્રંથિએ જોડાયા હતા.
સુનંદા પુષ્કરનો એક ભાઇ સેનામાં ઉચ્ચ અધિકારી છે જ્યારે બીજો ભાઇ એન્જિનિયર છે. કાશ્મીર યૂનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરનાર સુનંદા પુષ્કરના પ્રથમ લગ્ન દિલ્હીમાં કામ કરનાર એક યુવક સંજય રૈના સાથે થયા હતા પરંતુ એક વર્ષ બાદ આ લગ્નજીવન ભાંગી પડ્યું હતું.
સુનંદા પુષ્કરનો વિવાદો સાથે જૂનો સબંધ છે. તે પ્રથમવર એક વિવાદના લીધે જ ચર્ચામાં આવી હતી. આ વિવાદના લીધે જ સુનંદા પુષ્કર-શશિ થરૂરની પ્રેમ કહાણી સાર્વજનિક થઇ હતી. શશિ થરૂર સાથે તેમના ત્રીજા લગ્ન હતા. શશિ થરૂરના પણ આ ત્રીજા લગ્ન હતા. તેમના લગ્ન ભારતના હાઇ-પ્રોફાઇલ લગ્નોમાંના એક હતા. સુનંદા પુષ્કર તાજેતરમાં જ ટ્વિટર વિવાદના લીધે ફરી એકવાર ચર્ચામાં આવી હતી.
આઇપીએલ વિવાદ
આઇપીએલની ટીમ કોચ્ચી ટસ્કર કેરલા ટીમની ખરીદીમાં શશિ થરૂરની ભૂમિકાને લઇને સવાલો ઉભા થયા હતા. આ મુદ્દો એટલો બધો ચર્ચા રહ્યો કે શશિ થરૂરને કેન્દ્રિય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવું પડ્યું. પરંતુ થોડા સમય બાદ તેમને મંત્રી પરિષદમાં ફરીથી સામેલ કરવામાં આવ્યા હતા. આ વિવાદ બાદ સુનંદા પુષ્કરને પણ કોચ્ચિ ટીમમાં પોતાની પાર્ટનશિપ છોડવી પડી હતી. આ પ હેલાં તે દુબઇની એક કંપનીમાં કામ કરતી હતી. તે સમયે શશિ થરૂરે સુનંદા પુષ્કર સાથે પોતાના સંબંધો અંગેની વાત સ્વિકારી હતી અને ઓગષ્ટ 2010માં બંનેએ લગ્ન કરી લીધા.
'50 કરોડની ગર્લફ્રેંડ'
ઓક્ટોબર 2012માં હિમાચાલ પ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુનંદા પુષ્કરને '50 કરોડની ગર્લફ્રેંડ' ગણાવી હતી. આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો. ત્યારબાદ શશિ થરૂરે ટ્વિટરના માધ્યમથી નરેન્દ્ર મોદીને સલાહ આપી હતી કે પ્રેમની કોઇ કિંમત હોતી નથી. ત્યારબાદ શશિ થરૂર અને સુનંદા પુષ્કર વિશે ભાજપના પ્રહારોનો દોર ચાલુ રહ્યો હતો.
કલમ 370
ડિસેમ્બર 2013માં સુનંદા પુષ્કરે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન કરતાં કહ્યું હતું કે સંવિધાનની કલમ 370ની સમીક્ષા થવી જોઇએ. કલમ 370 હેઠળ જમ્મૂ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો મળવો જોઇએ. એક ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં તેમણે કહ્યું હતું કે 'સંવિધાનની કલમ 370 પર ફરીથી વિચાર કરવાની જરૂર છે કારણ કે મહિલાઓ વિરૂદ્ધ ભેદભાદ થાય છે. કાશ્મીરથી મારા મિત્રએ જણાવ્યું હતું કે કોઇ બિન કાશ્મીરી સાથે લગ્ન કર્યા બાદ અમને લોકોને સરકારી નોકરીઓ મળતી નથી. જો છોકરી કાશ્મીર ન હોય તો પણ કશ્મીરી પરિવાર લગ્ન કરે છે, તો તેમને સરકારી નોકરી મળી જાય છે અને તેમના બાળકોને બધા અધિકારો મળે છે.
કોંગ્રેસી કાર્યકર્તાને માર્યો તમાચો
કેબિનેટ મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરે તિરૂવનંતપુરમ એરપોર્ટ પર કોંગ્રેસ કાર્તકર્તાને થપ્પડ ફટકારીને પણ વિવાદો રહી છે. તેની પાછળનું કારણ કંઇક એવું છે કે આ કાર્યકર્તાએ ભીડનો ફાયદો ઉઠાવી સુનંદા પુષ્કરને અડપલું કર્યું હતું.
આ ઘટના 29 ઓક્ટોબર 2013ની છે, જ્યારે સુનંદા પુષ્કર પોતાના પતિ શશિ થરૂર સાથે ત્રિરૂવનંતપુરમ એરપોર્ટ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી હતી. બંનેના સ્વાગત માટે એરપોર્ટ પર કોંગ્રેસ કાર્યકર્તાઓની ભારે ભીડ જામી હતી.
ભીડમાંથી પસાર થતી વખતે અચાનક સુનંદા પુષ્કારે એક કોંગ્રેસી કાર્યકર્તાને થપ્પડ મારવાનું શરૂ કરી દિધું હતું અને આરોપ લગાવ્યો હતો કે તેમને વિચિત્ર રીતે ટચ કરી રહ્યો હતો. આટલું જ નહી તેમને કોંગ્રેસ કાર્યકર્તાને ફરીથી તમાચો ફટકાર્યો હતો.
સુનંદા અને પાકિસ્તાની પત્રકારનો ટ્વિટર વિવાદ
થોડા દિવસોથી સુનંદા એક પાકિસ્તાની પત્રકારના લીધે ટ્વિટર ટ્રેંડ કરી રહી હતી. સુનંદા અને શશી થરૂર દંપતિના વિવાદનું કારણ પાકિસ્તાની પત્રકાર મેહર તરાર હતી. જો કે આ મુદ્દો શશિ થરૂરના એક ટ્વિટથી શરૂ થયો હતો, જેમાં એક પાકિસ્તાની પત્રકાર સાથે તેમના અફેયરની વાત કહેવામાં આવી હતી. શશિ થરૂર ટ્વિટર પર સૌથી ચર્ચિત વ્યક્તિઓમાંના એક છે અને તેમના ફોલોવર્સની સંખ્યા લગભગ 20 લાખથી વધુ છે, તો આ વાયુવેગે પ્રસરી ગઇ. ભારતથી માંડીને પાકિસ્તાન સુધી મીડિયામાં આ બંનેની ચર્ચાએ જોર પડકી લીધું.
પહેલા શશિ થરૂરને લાગ્યું કે તેમનું એકાઉન્ટ હેક થઇ ગયું છે, પરંતુ ત્યારબાદ સુનંદા પુષ્કરે કહ્યું હતું કે પાકિસ્તાની પત્રકારને પોતે જ ટ્વિટ પોસ્ટ કરી રહી હતી. પોતાની પોસ્ટમાં સુનંદા પુષ્કરે ટ્વિટ કરી મેહર તરારને આઇએસઆઇ એજન્ટ ગણાવી હતી.