રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટવાના શું છે નિયમ?
આજે રાજ્યસભાના ઉપસભાપતિ (ડેપ્યુટી ચેરમેન) પદની ચૂંટણી થવાની છે. આજની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
આજે રાજ્યસભાના ઉપસભાપતિ (ડેપ્યુટી ચેરમેન) પદની ચૂંટણી થવાની છે. આજની ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે કારણકે આ ચૂંટણી પરિણામથી અમુક હદે એ સ્પષ્ટ થઈ જશે કે મોદી સરકાર સામે વિપક્ષની એકતા કેટલી છે. આ ચૂંટણીમાં એનડીએ તરફથી જેડીયુના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વર્તમાનમાં 244 સાંસદોવાળી રાજ્યસભામાં બહુમત માટે 123 સાંસદોનો આંકડો જોઈએ જે આ આંકડાને પાર કરશે તે જ ડેપ્યુટી ચેરમેનના પદ પર બેસશે.
હવે સવાલ એ છે કે રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી થાય છે કેવી રીતે.. ચાલો જાણીએ વિસ્તારથી...
બંધારણની કલમ 89 માં ઉલ્લેખ છે
ભારતના બંધારણની કલમ 89 માં કહેવામાં આવ્યુ છે કે જ્યારે આ પદ ખાલી થાય ત્યારે રાજ્યસભા પોતાના એક સાંસદને ઉપસભાપતિ પદ માટે ચૂંટી શકે છે. હાલમાં આ પદ પ્રોફેસર પી જે કુરિયનનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી થયુ છે. તેમનો કાર્યકાળ 1 જુલાઈના રોજ પૂરો થઈ ગયો હતો.
આ છે નિયમ
કોઈ પણ રાજ્યસભા સાંસદ આ બંધારણીય પદ માટે પોતાના કોઈ સાંસદના નામનો પ્રસ્તાવ આગળ વધારી શકે છે પરંતુ પ્રસ્તાવ આગળ વધારનાર સભ્યને સાંસદ દ્વારા હસ્તાક્ષરિત એક ઘોષણા પ્રસ્તુત કરવાની હોય છે.
સંસદનો બહુમત
જો કોઈ પ્રસ્તાવમાં એકથી વધુ સાંસદનું નામ હોય તો આ સ્થિતિમાં સંસદનો બહુમત નક્કી કરશે કે કોણ રાજ્યસભામાં ઉપસભાપતિ માટે ચૂંટવામાં આવે છે. જો બધા રાજકીય દળોમાંથી કોઈ એક સાંસદના નામ પર સર્વસંમતિ થઈ જાય તો આ સ્થિતિમાં સાંસદે સર્વસંમતિથી રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટી લેવામાં આવે છે.
ઉપસભાપતિનું શું છે કામ
ઉપસભાપતિ રાજ્યસભાના સભાપતિ/ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કરે છે. ઉપલા ગૃહની કાર્યવાહીને પણ યોગ્ય રીતે ચલાવવાની જવાબદારી તેમના પર હોય છે.
તમને જણાવી દઈએ કે રાજ્યસભા ઉપસભાપતિ પદ માટે અત્યાર સુધી કુલ 19 વાર ચૂંટણી થઈ છે. આમાંથી 14 વાર સર્વસંમતિથઈ આ પદ માટે ઉમેદવારને ચૂંટવામાં આવ્યા હતા. 1969 માં પહેલી વાર ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થઈ હતી.