"થ્રેટ કોલ"ના લીધે મુંબઇથી દિલ્હી જતી જેટની ફ્લાઇટ વળી અ'વાદ
જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W339 જે સવારે મુંબઇથી દિલ્હી જતી હતી તે સુરક્ષા કારણોના લીધે અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી છે.
સોમવારે વહેલી સવારે મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટ નંબર 9W339ને સુરક્ષા કારણોથી અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી છે. પીટીઆઇ દ્વારા આ જાણકારી મળી છે. મુંબઇથી આ ફ્લાઇટ વહેલી સવારે 2:55એ ઉપડી હતી. અને તે સવારે 3:45 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. સુરક્ષા કારણોથી આમ કરવામાં આવ્યું હતું તેવું આ મુસાફરીનો ભાગ બનેલા યાત્રીઓ દ્વારા જાણવા મળ્યું છે. સુત્રોથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ જેટની એરહોસ્ટેસને વોશરૂમમાંથી ફ્લાઇટ હાઇજેક થશે અને વિસ્ફોટક પદાર્થ ફ્લાઇટમાં છે તેવો પત્ર મળતા આ ફ્લાઇટને દિલ્હી જવાના બદલે અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી. અને તમામ પેસેન્જરને નીચે ઉતારી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જો કે જેટ એરવેજ તરફથી આ અંગે કોઇ અધિકૃત નિવેદન સવાર સુધીમાં નથી આપવામાં આવ્યું. અને તમામ યાત્રીઓ હેમખેમ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયા હતા. પણ આ ઘટનાએ થોડીક વાર માટે જેટ એરવેજના કર્મચારીઓની ચિંતા વધારી દીધી હતી. હાલ અમદાવાદ ખાતે પ્લેન અને તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવી છે. અને સાથે જ વોશરૂમમાં આ ધમકી ભર્યો પત્ર કોણે મૂક્યો તે અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યો છે.