ચિત્રકૂટ રેલ અકસ્માત : 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 3ના મોત
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પાસે વાસ્કો દા ગામા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી જતા 3 લોકોના મોત થયા છે. આ અંગે વિતગવાર જાણો અહીં.
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પાસે માનિકપુરમાં વાસ્કો ડા ગામા એક્સપ્રેસ દુર્ધટાગ્રસ્ત થઇ ગઇ છે. આ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. વધુમાં આ અકસ્માતમાં 3 લોકોના મોતની જાણકારી મળી છે. જ્યારે 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. આ ટ્રેન વાસ્કોથી પટના જઇ રહી હતી. નોર્થ સેન્ટ્રલ રેલના સીપીઆરઓ ગૌરવ કૃષ્ણ બંસલે જણાવ્યું કે માનિકપુર સ્ટેશનથી સવારે 4:18 વાગે પ્લેટફોર્મ નંબર 2થી નીકળેલી ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જે પછી ઇલ્લાહબાદથી મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે. ડીઆરએમ ઇલ્લાહબાદ અને ઉત્તર રેલ્વેના મહાપ્રબંધક પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
જે ત્રણ લોકોની મોત થઇ છે તે બિહારના રહેવાસી હતા તેમ જણાવા મળ્યું છે. બિહારના બેતિયાના રામસ્વરૂપ પટેલ અને તેમના પુત્ર દિપક પટેલનું આ ઘટનામાં મોત થયું છે. મૃતકોને 5-5 લાખ રૂપિયા આર્થિક સહાય રૂપે આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા વળતર પેટે આપવામાં આવશે. રેલ મંત્રી પીયૂષ ગોયલે પણ આ ઘટના માટે દુખ વ્યક્ત કર્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ રેલ્વે ટ્રેકમાં તિરાડના કારણે આ ઘટના થઇ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ સ્લીપર ડબ્બાના યાત્રીઓને સૌથી વધુ નુક્શાન થયું છે તેમ પણ જાણવા મળ્યું છે. સાથે જ રેલ્વે અને ચિત્રકૂટ પોલિસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. રેલ્વેએ 05322226276 અને પોલીસે 05198236800 જાહેર કરેલ આ નંબરો પર તમે આ અંગે જાણકારી મેળવી શકો છો.