ત્રણ IM આતંકવાદી ઝડપાયા દિલ્હી-મુંબઇમાં હુમલાની હતી યોજના
દિલ્હી પોલીસ દ્વારા પકડાયેલા આંતકવાદીઓ પાસેથી મોટી માત્રા વિસ્ફોટક જથ્થો અને નકશાઓ મળી આવ્યાં છે. અસદ, ફિરોઝ અને ઇમરાન નામના આ આતંકવાદીઓ ઓરંગાબાદ, નાદેડ અને પૂણેના રહેવાસી છે અને તેમના લશ્કરે તૈયબાના ફૈયાઝ સાથે સંબંધો હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે વધુમાં કહ્યું છેકે, પકડાયેલા ઉક્ત ત્રણેય ઇન્ડિયન મુઝાહીદ્દિનના આતંકવાદીઓની યોજના દિલ્હી અને મુંબઇમાં વિસ્ફોટો કરવાની હતી. આ ત્રણેય આરોપીઓ પર એક ઓગસ્ટના રોજ પૂણેમાં થયેલા વિસ્ફોટમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસની ખાસ ટૂકડી દ્વારા આ ત્રણેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ચાલું વર્ષના ઓગષ્ટ મહિનામાં પૂણેમાં ચાર ઓછી તીવ્રતાના બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ વિસ્ફોટને ઓપરેટ કરવાનો આરોપ ઉક્ત ત્રણેય પર છે. તેમજ આ ત્રણેયની નિકટતા ઇન્ડિયન મુઝાહિદ્દિનના ચીફ યાસિન ભાટ્કલ સાથે છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.