બિહારમાં જનતાનો મત: દેશમાં મોદી, રાજ્યમાં નિતીશ
બિહારની 243 બેઠકોની વિધાનસભા ચૂંટણી 2015 માટે આજે મતગણતરી ચાલી રહી છે. બિહારની જનતાએ આગામી પાંચ વર્ષ માટે કોને સત્તાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે, તે બસ થોડા જ કલાકોની અંદર સૌની સમક્ષ હશે. પણ જે મુજબ ટ્રેન્ડ્સ મળી રહ્યાં છે, સ્પષ્ટ રીતે કહી શકાય કે આગામી પાંચ વર્ષ માટે બિહારમાં મહાગઠબંધનની સરકાર બની રહી છે. જ્યારે ભાજપનું કમળ બિહારમાં હારી રહ્યું છે.
ખેર, રાજકારણમાં ચૂંટણી પહેલા ગમેતેટલી ચૂંટણીસભાઓ ગજવવામાં આવે, ગમે તેટલા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવે, બધી જ ચૂંટણીસભામાં લાખોની જનમેદની ભલે ઉમટે પણ આખરે મતદારો શું ઇચ્છે છે, તે તો માત્ર મતદારો જ જાણે.
મતપેટીમાંથી જેમ જેમ પરિણામો બહાર આવી રહ્યાં છે, રાજકીય પક્ષોની સ્થિતિ પણ સ્પષ્ટ થઇ રહી છે. ખાસ કરીને બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડીસ્સા, અને તામિલનાડુ જેવા રાજ્યોમાં રાષ્ટ્રીય મુદ્દાઓ, અને રાષ્ટ્રીય પક્ષો કરતા વધુ સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક પક્ષો છવાયેલા રહેતા હોય છે.
દેશના રાજકારણમાં બિહાર અને ઉત્તરપ્રદેશ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે ભાજપે પણ બિહારનો ગઢ હાંસલ કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ હતુ. સૌથી મોટુ કારણ એ કે ભાજપ રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ મજબૂત કરવા માંગે છે.
પરંતુ બિહારમાં મતગણતરીના જે ટ્રેન્ડ્સ આવી રહ્યાં છે, તેમા મહાગઠબંધન જોરદાર પ્રદર્શન કરતુ નજરે પડી રહ્યું છે. આ ટ્રેન્ડ્સમાં ઉત્તરપ્રદેશની પણ અહમ ભૂમિકા ચોક્કસ કહી શકાય. જી હા બિહાર, ઉત્તરપ્રદેશનું પાડોશી રાજ્ય છે, બિહાર ચૂંટણીમાં બિહારના સ્થાનિક મુદ્દાઓ તો છવાયેલા રહેતા જ હોય છે, સાથે જ ઉત્તરપ્રદેશના પણ અનેક મુદ્દાઓ બિહારના રાજકારણમાં અહમ ભૂમિકા ભજવે છે.
ચૂંટણી પહેલા વિશેષજ્ઞોના મંતવ્યો જે પણ રહ્યાં હોય પણ જેમ જેમ ચૂંટણીનું મહાયુદ્ધ આગળ વધ્યુ ચૂંટણી વિશેષજ્ઞોથી લઇને Exit Polls સુધીના આંકડામાં સ્પષ્ટતા જોવા નહોતી મળી.
તો આવો જાણીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખાસ કરીને ઉત્તરપ્રેદશની ઘટનાઓ સિવાય એવા કયા અન્ય મુદ્દાઓ હતા કે જેણે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી મોદીનો જે વિજયરથ અજય ચાલી રહ્યો હતો, તેમા ગાબડા પાડ્યા.
સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક પક્ષ
લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ છવાયેલા રહેતા હોય છે, જ્યારે રાજ્યોમાં સ્થાનિક મુદ્દાઓ અહમ ભૂમિકા ભજવે છે. ત્યારે બિહાર જેવા રાજ્યોમાં સ્થાનિક પક્ષોની પણ અહમ ભૂમિકા હોય છે.
પ્રધાનમંત્રી મોદીના વચનો
લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોંઘવારી અને કાળાધન અંગે આપેલા વચનો નિભાવવામાં નિષ્ફળ રહ્યાં છે, તે વાત લોકો સુધી પહોંચાડવામાં અન્ય પક્ષો સફળ રહ્યાં.
મુલાયમ સિંહની મહત્વની ભૂમિકા
ઉત્તરપ્રદેશમાં સપા અધ્યક્ષ મુલાયમ સિંહની જોરદાર પક્કડ છે. ત્યારે મુલાયમ સિંહ બિહારમાં પોતાની તમામ તાકાત સાથે વોટ કાપવામાં સફળ રહેતા દેખાઇ રહ્યાં છે.
મોદીની વારાણસી મુલાકાત
આશ્ચર્યની વાત તો એ છેકે ઉત્તરપ્રદેશનું બનારસ બિહારના રાજકારણમાં જોરદાર ભૂમિકા નિભાવે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં સભાને સંબોધન પણ કર્યું તેમ છતા જોઇએ તેટલી સફળતા ના મળી.
ઉત્તરપ્રદેશનો દાદરીકાંડ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં થયેલા દાદરીકાંડને જે રીતે ઉછાળવામાં આવ્યો તે ભાજપ માટે ફટકા સમાન સાબિત થયો.
ભોજપુરી વક્તાઓ
બિહારમાં ભોજપુરી વક્તાઓ પ્રત્યે જોરદાર લગાવ છે. આ વાતને સમજીને દરેક પક્ષે ભોજપુરી કાર્યકર્તાઓને પ્રચાર પ્રસાર માટે કામે લગાડ્યા હતા.
યુપીમાં વિવાદીત નિવેદનો
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ, સાધ્વી પ્રાચી સહિત અનેક નેતાઓએ વિવાદીત નિવેદનો આપ્યા જેનાથી ચૂંટણી સમીકરણો બદલાઇ ગયા.
અસંતુષ્ટ ભાજપી નેતાઓ
પ્રજાના અસંતોષના કારણે સત્તાના પાસા બદલાતા હોય છે, પણ જ્યારે પક્ષના કાર્યકર્તાઓનો જ અસંતોષ હોય ત્યારે તે પક્ષને ઘણું નુકસાન કરે છે. જેમકે પક્ષના ભૂતપૂર્વ નેતા રામજેઠમલાણી અને વર્તમાન નેતા શત્રુજ્ઞ સિંહા.
જીતન રામ માંજી
ભાજપની હારમાં જીતન રામ માંજીનું ફેક્ટર પણ મોટુ કામ કરી ગયુ. જીતન રામ માંજીનું રાજીનામુ, ત્યારબાદ ભાજપના નેતાઓ સાથે વાતચીતના સમાચારોથી શાનમાં જ લોકો ઘણું સમજી ગયા.
સીએમ પદનો ચહેરો
દરેક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનિતી રહી છેકે સીએમ પદના ઉમેદવારને ઘોષિત નથી કરવામાં આવતા. ત્યારે મહાગઠબંધને સીએમ પદના ઉમેદવાર તરીકે નિતીશ કુમારને પહેલેથી જ ઘોષિત કરી દીધા હતા.