પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો: રામથી શરુ રામથી ખતમ
દશેરા ઉત્સવમાં ભાગ લેવા એશબાગના રામલીલા ગ્રાઉંડ પહોંચેલા પીએમ મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. તેમને ગદા, ધનુષબાણ અને સુદર્શનચક્ર આપીને સમ્માન કરવામાં આવ્યુ. રાજ્યપાલ રામનાઇક, ગૃહમંત્રી રાજનાથસિંહ, લાલજી ટંડન, દિનેશ શર્મા અને કેશવબાગ પ્રસાદ મૌર્યા પીએમ સાથે સ્ટેજ પર હાજર હતા. પીએમ મોદીએ સૌથી પહેલા સ્ટેજ પર હાજર રામ-લક્ષ્મણની આરતી ઉતારી. ત્યારબાદ ભાજપના નેતાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ.
એશબાગના રામલીલા ગ્રાઉંડમાં થયેલ દશેરા મહોત્સવના આજે પીએમ મોદી પણ સાક્ષી બન્યા. મહોત્સવનો હિસ્સો બનવા પહોંચેલા પીએમ મોદીનું વિમાન આજે સાંજે લખનૌના એરપોર્ટ ઉપર ઉતર્યુ. યુપીના સીએમ અખિલેશ યાદવે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને યુપીના રાજ્યપાલ રામનાઇક પણ પીએમની આગેવાનીમાં હાજર રહ્યા.
અમૌસા એરપોર્ટથી મોદીનો કાફલો રામલીલા ગ્રાઉંડ પહોંચ્યો. રસ્તામાં પીએમની એક ઝલક મેળવવા માટે ભારે ભીડ જામી હતી. ભાજપ કાર્યકર્તાઓએ પીએમના કાફલા પર ફૂલ વરસાવ્યા. પોલિસે આખા શહેરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કર્યો હતો.
દશેરા મહોત્સવમાં હિસ્સો લેવા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીના રાજકીય માહોલને જોતા પોતાના ભાષણમાં આતંકવાદથી લઇને યુદ્ધ સુધીની વાતો કરી. "જય શ્રી રામ" ના નારા સાથે પોતાના ભાષણની શરુઆત કરી અને આ જ નારા સાથે પોતાનું સંબોધન ખતમ કર્યુ.
વાંચો, પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો...
યુધ્ધ કયારેક ક્યારેક જરુરી હોય છે, પરંતુ આપણે યુદ્ધથી બુદ્ધ તરફ જનારા લોકો છીએ.
આતંકવાદ સામે પહેલી લડાઇ જટાયુએ લડી હતી. આપણે દેશવાસીઓ રામ ભલે ના હોય પરંતુ જટાયુની જેમ આતંકવાદ સામે તો લડી શકીએ.
આતંકવાદ સામે સમગ્ર વિશ્વએ એકજૂટ થવુ પડશે.
આપણે દીકરા-દીકરીઓ વચ્ચેનું અંતર ખતમ કરવુ પડશે. ગર્ભમાં રહેલી સીતાને બચાવવી આપણી ફરજ છે.
દીકરીઓ અને મહિલાઓ ભલે કોઇ પણ ધર્મની કે સમાજની હોય તેને ન્યાય મળવો જોઇએ.
વિજયાદશમીથી પ્રેરણા લઇને આપણે દુરાચાર, ભ્રષ્ટાચાર, ગંદકીને ખતમ કરવા માટે સંકલ્પબદ્ધ થવુ પડશે.
આપણે રાવણદહનથી શિક્ષા લેવી જોઇએ. પીએમએ કહ્યું કે આપણે આપણી અંદરના રાવણને ખતમ કરવો પડશે.
આપણે દશેરા પર આપણી અંદરની 10 ખરાબીને ખતમ કરવાનો સંકલ્પ કરવો જોઇએ.
દર વર્ષે રાવણ બાળતી વખતે એ હિસાબ-કિતાબ કરવો જોઇએ કે આપણે આપણી કેટલી ખરાબીઓ ખતમ કરી.
જાતિવાદ, ઉંચ-નીચ, વંશવાદ અને સાંપ્રદાયિકતા રાવણનું જ એક સ્વરુપ છે. આને ખતમ કરીને આપને એકાત્મ ભારતના નિર્માણનો સંકલ્પ કરવો જોઇએ.