અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ પોતાના બાળકોના મૃતદેહની રાહ જોતી રહી માતા, ધ્રુજાવી દેતી 5 ઘટના
પંજાબના અમૃતસરમાં જોડા ફાટક પાસે થયેલા ટ્રેન એક્સિડન્ટમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમની સારવાર ચાલુ છે.
પંજાબના અમૃતસરમાં જોડા ફાટક પાસે થયેલા ટ્રેન એક્સિડન્ટમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, જેમની સારવાર ચાલુ છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. અમૃતસરના સિવિલ હોસ્પિટલના વરિષ્ઠ ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ સંદીપ અગ્રવાલના કહેવા મુજબ પોસ્ટ મોર્ટમ માટે દિવસનો સમય સારો છે, પરંતુ બાળકોના મૃતદેહ પરિવારને સોંપી દેવાના હોવાને પગલે રાત્રે જ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું.
આ પણ વાંચો: અમૃતસર ટ્રેન અકસ્માતઃ લોકોને બચાવવા રાવણ બનેલા આ શખ્સે પોતાનો જીવ આપી દીધો
મેં આખી જિંદગીમાં આવા દ્રશ્યો નથી જોયા
હોસ્પિટલ મેનેજમેન્ટના કહેવા મુજબ ટ્રેનની અડફેટે આવવાને કારણે શરીર ખરાબ રીતે ઘવાયા હતા, પરિણામે શનિવાર સવાર સુધી 24 લોકોની જ ઓળખ થઈ હતી. ડૉ. સંદીપ અગ્રવાલના કહેવા મુજબ તેમણે પોતાની કરિયરમાં આવા દ્રશ્યો ક્યારેય નથી જોયા. મેં શુક્રવારે ચાર બાળકોને મૃત જાહેર કર્યા, તો કેટલાક બાળકોના જીવ પણ બચાવ્યા. નાસભાગનો શિકાર બનેલા કેટલાક લોકોનો જીવ બચાવ્યો પરંતુ જેઓ ટ્રેનની અડફેટે આવ્યા હતા, હું તેમની મદદ ન કરી શક્યો. અગ્રવાલના કહેવા મુજબ સામાન્ય રીતે એક મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં અડધા કે એક કલાકનો સમય લાગે છે. અમે આખી રાત પોસ્ટમોર્ટમ કરતા રહ્યા હતા.
'મારો ભાઈ મરી ચૂક્યો હતો, મારો ભત્રીજો પાટા પર તડપતો હતો'
ડૉ. અગ્રવાલના કહેવા મુજબ પાંચ ડોક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરી રહી હતી. હોસ્પિટલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારજનોથી ભરાયેલી હતી. સ્ટેચર્સ પર સફેદ કપડામાં નાના બાળકોના મૃતદેહ પડ્યા છે. લોહીના કારણે મૃતદેહની ચાદર પણ લાલ થઈ ચૂકી છે. આ દુર્ઘટનામાં પોતાના ભત્રીજા અને ભાઈને ગુમાવી ચૂકેલી સુમન દેવી કહે છે કે અમે આખી જિંદગી દશેરાથી ડરીશું. અમારા માટે દશેરા કાળ બની ચૂક્યા છે. એમ્બ્યુલન્સનો દરવાજો પકડીને ઉભેલા સુમદેવી પોતાના ત્રણ વર્ષના ભત્રીજાનું શબ જોઈને રડી પડે છે. સુમન દેવીનો 22 વર્ષનો ભાઈ પ્રદીપ સાર્થકને રાવણ દહન જોવા લઈ ગયો હતો, તેનું પણ દુર્ઘટનામાં મોત થયું.
હું સાર્થકની માને શું જવાબ આપીશ... તે ક્યાં છે
સુમન દેવી કહે છે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો મારો ભાઈ મૃત્યુ પામી ચૂક્યો હતો. પરંતુ સાર્થકના શ્વાસ ચાલુ હતા. અમે તેને લઈ એક બાદ એક ત્રણ હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ તેનો જીવ ન બચ્યો. સાર્થકના પિતા રામવિલાસ રડતા રડતા કહે છે કે હું સાર્થકની માને શું જવાબ આપીશ ? તે ક્યાં છે ? બાળકો અને તેમની ખુશી વગર તહેવારનો શું અર્થ ? અમારો પુત્ર હંમેશ માટે જતો રહ્યો. દશેરાનો તહેવાર અમારા માટે હવે છે જ નહીં.
મારા પુત્રએ માગેલી તે છેલ્લી વસ્તુ હતી
પરમજીત કૌરે પણ પોતાનો 16 વર્ષનો પુત્ર આ દુર્ઘટનામાં ગુમાવ્યો. તે રડતા રડતા કહે છે કે મને તો ખબર પણ નહોતી, કે તે કોની સાથે રાવણ દહન જોવા આવ્યો છે. તેમે મારી પાસેથી 10 રૂપિયા માગ્યા, પણ મેં ના પાડી દીધી. હવે મને આખી જિંદગી પસ્તાવો થશે કે મેં તેને 10 રૂપિયા નહોતા આપ્યા. એ અંતિમ ચીજ હતી, મારા પુત્રએ મારી પાસે માગી હતી. પરમજીત કૌર કહે છે કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાં માહોલ ભયાનક હતો. મૃતદેહ પાટા પર વિખરાયેલા હતા. અમે અમારા બાળકને ન શોધી શક્યા. હોસ્પિટલમાં તેનું શરીર મળ્યું.
ટ્રેન રાવણની જેમ આવી અને માતા પુત્રને લઈ ગઈ
મૃતદેહ કક્ષની બહાર માથુ ઝુકાવીને બેઠેલા મેહતો અને તેમનો પુત્ર અનિલ કશું જ બોલવાની હાલતમાં નહોતા. તેમનું રુદન ત્યાંના વાતાવરણને કરૂણ બનાવી રહ્યું હતું. બીજી તરફ મેહતોની પત્ની ચૂપચાપ એક ખૂણામાં બેઠી હતી. આ દુર્ઘટનામાં તેમના 10 વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે. મહતો દીવાલ પર પોતાનું માથું અથડાવતા કહે છે કે આ ટ્રેન રાવણની જેમ આવી અને મારા પુત્રને છીનવી ગઈ.
મેં તેને કહ્યું હતું કે ના જઈશ
પોતાના 19 વર્ષના પુત્ર નીરજના મૃતદેહની રાહ જોઈ રહેલા 54 વર્ષના મુકેશ કુમાર વાત કરતા કરતા ધ્રૂજી રહ્યા છે. મેં તેને ના પાડી હતી કે રેલવે ટ્રેકની નજીક ન જઈશ, તે ખતરનાક છે. મુકેશકુમારનું કહેવું છે અમૃતસરે ફરી એકવાર જલિયાવાલા બાગ જેવી દુર્ઘટના જોઈએ છે. આ ઘા ક્યારેય નહીં રૂઝાય.