KBC 9માં 1 કરોડ જીતનાર મહિલાનું જૂઠ્ઠાણું પકડાયું
કૌન બનેગા કરોડપતિ-9ની પહેલી કરોડપતિ અનામિકા મજમૂદારે શોમાં અમિતાભ બચ્ચનને ખોટી વાત જણાવી હતી
કૌન બનેગા કરોડપતિની 9મી સિઝનની પહેલી કરોડપતિ અનામિકા મજમુદાર પર આરોપ છે કે, તેમણે શો દરમિયાન અમિતાભ બચ્ચનને ખોટી વાત કહી હતી. શો દરમિયાન અનામિકા જણાવ્યું હતું કે, તેમનો એક ખાસ મિત્ર છે અને તે કોઇ વ્યક્તિ નહીં, પરંતુ તેમના ઘરની બાહર લાગેલ પીપળાનું વૃક્ષ છે. અનામિકાએ શોમાં જણાવ્યું હતું કે, તેઓ હંમેશા પોતાના આ મિત્ર સાથે વાતો કરે છે. અમિતાભે પણ પીપળાના વૃક્ષ સાથેની અનામિકાની આ મિત્રતાના વખાણ કર્યા હતા.
શોમાં અનામિકાએ કહ્યું હતું કે, તેઓ ઘણીવાર પોતાની બાલ્કનીમાં બેસીને પીપળાના વૃક્ષ સાથે વાતો કરે છે. જો કે, દિવ્ય ભાસ્કરના એક અહેવાલ અનુસાર, અનામિકાનો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે, કારણ કે તેમના ઘર પાસે કોઇ પીપળાનું વૃક્ષ નથી. જ્યારે અમાનિકાને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, પીપળાનું વૃક્ષ તેમના જૂના ઘરની બહાર હતું. થોડી વાર પછી તેમણે વાત બદલતાં કહ્યું હતું કે, તેઓ એ પીપળાના વૃક્ષનું સરનામું ન જણાવી શકે, કારણે કે સરનામું જાહેર થતાં જ લોકો ત્યાં જઇ પૂજા-પાઠ કરવા માંડશે. વળી તેમણે એમ કહ્યું હતું કે, સોની ટીવી સાથે કરેલા કરાર અનુસાર પણ તેઓ પીપળાના વૃક્ષનું સરનામું જણાવી શકે એમ નથી. અનામિકાના ઘરની બાહર એક વડનું વૃક્ષ છે, પરંતુ પીપળાનું વૃક્ષ નથી.