રણવીરને ટાઇટ ફ્રેંચીમાં જોવા થિયેટર આવી હોઉં ત્યારે દેશભક્તિ ક્યાંથી જગાડું?
બોલિવૂડની પૂર્વ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પોતાના બોલ્ડ અને બેફામપણા માટે ફેમસ છે. તેના આર્ટિકલ્સ હોય કે સ્પિચ કે પછી તે કોઇ ઇન્ટરવ્યૂમાં જવાબ આપતી હોય, તે એકદમ બિન્દાસ જવાબ આપે છે. તેના વિશે વાત કરતાં અક્ષયકુમારે એક વખત કહ્યું હતું કે, ટીના(ટ્વિંકલ)ના મોઢામાં ફિલ્ટર નથી. તે વિચાર્યા વગર એેને જે ઠીક લાગે તે બોલે છે.
ટ્વિંકલ ખન્નાના હાલ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે આર્ટિક્લસ અને બ્લોગ થકી પોતાના વિચારો અને મંતવ્યો વ્યક્ત કરતી રહે છે. તેના લખાણનો આ બોલ્ડ અંદાજ ખૂબ વખણાય પણ છે. આ અભિનેત્રીએ પોતાના બ્લોગમાં તમામ થિયેટરોમાં રાષ્ટ્રગીત ફરજિયાતપણે વગાડવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વ્યંગ કર્યો છે.
ટ્વિંકલ ખન્નાએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક બ્લોગમાં તમામ થિયેટરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને અજીબ ગણાવ્યો છે. તેણે લખ્યું છે કે, જ્યારે હું મનોરંજન માટે થિયેટરમાં જતી હોઉં ત્યારે દબાણપૂર્વક મારા માથે દેશભક્તિ થોપવાનું શું કામ છે?
તેણે લખ્યું છે કે, દરેક વસ્તુની પોતાની એક યોગ્ય જગ્યા હોય છે. જ્યારે વાઘા બોર્ડર પર પરેડ થતી હોય ત્યારે આપોઆપ જ મોઢામાંથી જય હિંદ નીકળી જાય. વાઘા પર જ્યારે પાકિસ્તાનીઓ પોતાના નારા લગાવતા હોય ત્યારે આપણી અંદર પણ જાતે દેશભક્તિ જાગી જ જાય છે! આ માટે કોઇએ કંઇ કહેવાની જરૂર પડતી નથી.
'બેફિકરે'ની ટિકિટ દેશભક્તિ માટે નથી ખરીદી
ટ્વીંકલે સવાલ કર્યો છે કે, મેં 'બેફિકરે'ની ટિકિટ ખરીદી હોય અને હું એમ વિચારીને થિયેટરમાં જતી હોઉં કે રણવીરને ટાઇટ લાલ ફ્રેંચીમાં જોઇશ, ત્યારે મારા માથે દબાણપૂર્વક દેશભક્તિ કેમ થોપવામાં આવે છે?
તેણે આકરા શબ્દોમાં આ નિર્ણયની આલોચના કરતાં લખ્યું છે કે, તમે દેશભક્તિને લોકોના ઘરે, લોકોના બેડરૂમ સુધી ન લઇ જાઓ તો જ સારુ!
આ સાથે જ ટ્વિંકલે નોટબંધીને પણ બાલિશ નિર્ણય ગણાવતાં લખ્યું કે, નોટબંધી નામની કડવી ગોળી ખાઓ, પ્રૂફ છુપાવવા કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરતા હતા એ ભૂલી જાઓ અને તમારા ક્રેડિટ કાર્ડથી એક વાઇબ્રેટર ખરીદી લો.