પૈગામ-એ-મોહબ્બત લઇ ફરી પાકિસ્તાન જઇશઃ મૌલવી
પાકિસ્તાનમાં ગાયબ થયેલા હજરત નિઝામુદ્દીન દરગાહના બે મૌલવી સૈયદ આસિફ નિઝામી અને નાઝિમ ભારત પરત ફર્યા છે, તેમણે અહીં પોતાની આપવીતી જણાવી હતી.
દિલ્હી ની હજરત નિઝામુદ્દીન દરગાહના બે મૌલવી સૈયદ આસિફ નિઝામી અને નાઝિમ અલી નિઝામી સોમવારે ભારત પાછા ફર્યા છે. આ બંન્ને મૌલવીઓ થોડા દિવસો અગાઉ પાકિસ્તાન માં ગાયબ થઇ ગયા હતા. આ બંન્ને મૌલવીઓ પાકિસ્તાનના કરાંચી ના સિંધમાં પોતાના અનુયાયીઓને મળવા ગયા હતા. તેઓ બંન્ને અલગ-અલગ સ્થળેથી ગાયબ થયા હતા. પરત ફરી તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.
ભારતની ઇન્ટેલિજન્સ એજન્સિઓ કરશે પૂછપરછ
ભારતની ઇન્ટેલિજન્સ એજન્સિઓ આ બંન્ને મૌલવીની પૂછપરછ કરશે અને જાણવાનો પ્રયત્ન કરશે કે તેઓ પાકિસ્તાનમાં કઇ રીતે ગાયબ થઇ ગયા હતા. નિઝામીએ કહ્યું કે, તેઓ ભારત સરકાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ અને રાજનાથ સિંહનો આભાર માને છે અને તેમને એ વાતની ખુશી છે કે તે બંન્નેને સુરક્ષિત પાછા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. રવિવારે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, તેમણે સૈયદ નાઝિમ અલી સાથે વાત કરી હતી. ત્યારે તેઓ કરાંચીમાં હતા અને તેમણે નિઝામીને ખાતરી આપી હતી કે, સોમવારે તેઓ સુરક્ષિત રીતે પોતાના દેશ પરત ફરશે. સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, નિઝામીએ તેમને જણાવ્યું છે કે, તેઓ બંન્ને સુરક્ષિત છે તથા સોમવારે દિલ્હી પરત ફરશે. બંન્ને મૌલવીઓએ આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી.
આઇએસઆઇની કેદમાં હતા મૌલવી
સૈયદ આસિફ અલી નિઝામી નિઝામુદ્દીન દરગાહના મુખ્ય મૌલવી છે. બંન્ને પાકિસ્તાન પોતાના સંબંધીઓને મળવા ગયા હતા અને ત્યાર બાદ લાહોરના એક તિર્થસ્થાને ગયા હતા. એક મૌલવી કરાંચીમાં તથા એક લાહોરમાં ગાયબ થયા હતા. ભારત તરફથી પાતિસ્તાન સમક્ષ આ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે આ અંગે મદદ માંગવામાં આવી હતી. આ પહેલાં એવી પણ વાત આવી હતી કે, બંન્ને મૌલવીઓ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સિ આઇએસઆઇની કેદમાં છે. પાકિસ્તાનના સૂત્રો દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, આઇએસઆઇના અધિકારીઓએ આસિફ નિઝામી તથા નાઝિમ નિઝામીને બંધક બનાવ્યા હતા. તેમને એજન્સિ દ્વારા કોઇ અજ્ઞાત સ્થળે રાખ્યા હોવાની વાત પણ કહેવામાં આવી હતી.
દેશ વિરુદ્ધનું કામ કરતા હતા મૌલવીઓઃ સુબ્રમણ્યમ સ્વામી
આ આખા મામલે ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ બંન્ને મૌલવીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે, તેમની પાસે સ્વતંત્ર રીતે જાણકારી આવી છે કે, આ બંન્ને મૌલવીઓ દેશના વિરોધમાં કામ કરી રહ્યાં હતા. તેમણે આ બંન્ને મૌલવીઓ ખોટું બોલી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની તથાકથિત સરકારનું કહેવું છે કે, તેમને આ અંગે કોઇ જાણકારી નથી, તો આ બંન્ને આટલા દિવસો સુધી આઇએસઆઇ સાથે શું કરતા હતા?
|
પાકિસ્તાનના સ્થાનિક અખબારની ભૂલ
નાઝિમ નિઝામીએ આ અંગે વાત કરતાં કહ્યું કે, હું ફરી પાકિસ્તાન જઇશ, પૈગામ-એ-મોહબ્બત લઇને જઇશ અને ડંકાની ચોટ પર જઇશ. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાનના સ્થાનિક અખબારની છપાયેલ ખબરને કારણે આ ગોટાળા થયો હતો. એ ખબરમાં બે સૂફી મૌલવીઓને ગુપ્ત ભારતીય એજન્સિ રૉના એજન્ટ કહેવામાં આવ્યા હતા.
આસિફ નિઝામીનું નિવેદન
તો બીજી બાજુ આસિફ નિઝામીએ આ અંગે નિવેદન આપતાં ન્યૂઝ એજન્સિ એએનઆઇને કહ્યું કે, અમે પ્રાર્થના કરવા બાબા ફરિદ ગંજની દરગાહ ગયા હતા, દાતા દરબાર પણ ગયા હતા. મને મોઢા પર કપડું બાંધી કરાંચીથી ખૂબ દુર સૂમસામ જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો. તેમણે મને ખાવાનું અને ચા અને બિસ્કિટ પણ આપ્યા હતા. અમને કોઇ જાતની કનડગત કરવામાં નથી આવી. અમને વીઆઇપી રૂમમાં રાખવામાં આવ્યા હતા અને અમારી તથા દરગાહ અંગેની જાણકારી માંગવામાં આવી હતી.
અહીં વાંચો