ગૌહત્યાની શંકામાં બે આદિવાસીઓની હત્યા કરાઇ, શિવરાજસિંહે કહ્યું હતું - દુષ્ટોને કચડી નાખવા જોઈએ
મધ્યપ્રદેશમાં ભીડનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. રાજ્યના સિવની જિલ્લામાં, ગૌહત્યાના આરોપમાં બે આદિવાસી પુરુષોને માર મારવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 20 લોકોનું ટોળું આદિવાસીઓના ઘરમાં ઘુસી ગયું હતું.
ભોપાલ, 04 મે : મધ્યપ્રદેશમાં ભીડનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. રાજ્યના સિવની જિલ્લામાં, ગૌહત્યાના આરોપમાં બે આદિવાસી પુરુષોને માર મારવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 20 લોકોનું ટોળું આદિવાસીઓના ઘરમાં ઘુસી ગયું હતું અને તેમના પર ગૌહત્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેઓએ કથિત રીતે બે માણસોને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં બંનેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, હુમલાખોર ટોળા દ્વારા અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હતી.
ટોળાના બે આદિવાસીઓને મારવાની ઘટના બાદલપર ચોકીના સાગર અને સિમરિયા ગામની છે. જ્યાં મોડી રાત્રે 15 થી 20 લોકોએ કથિત રીતે બે આદિવાસીઓને ગૌમાંસ સાથે પકડી લીધા અને પોલીસને જાણ કર્યા વગર જ માર મારવાનું શરૂ કર્યું હતું. મંગળવારના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ કાકોડિયા જબલપુર-નાગપુર હાઈવે પર ધરણા પર બેઠા હતા અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. અહીં, ઘટના બાદ સિવની પોલીસ વડા અને અન્ય અધિકારીઓએ આદિવાસીઓના ઘરની મુલાકાત લીધી હતી.
આ ઘટના બાદ પોલીસે જણાવ્યું કે, 20 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 6 વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. અધિક પોલીસ અધિક્ષક એસકે મારવીએ જણાવ્યું કે, બે આદિવાસી લોકોના મોત થયા છે. આરોપ છે કે 15-20 લોકોનું એક જૂથ પીડિતોના ઘરે ગયું, તેમના પર ગાયની હત્યા કરવાનો આરોપ લગાવ્યો અને તેમના પર હુમલો કર્યો હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ બે લોકોના મોત થયા હતા અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી.
મારવીએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ટીમ આરોપીઓને શોધી રહી છે. કેટલાક આરોપીઓના નામ (ફરિયાદમાં) છે અને અન્ય અજાણ્યા છે. અમે બે-ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી છે. પીડિતાના ઘરેથી લગભગ 12 કિલો માંસ મળી આવ્યું છે. હુમલામાં ઘાયલ થયેલા ફરિયાદી બ્રજેશ બટ્ટીએ જણાવ્યું હતું કે, ટોળાએ બે આદિવાસીઓ, સંપત બટ્ટી અને ધનસાને નિર્દયતાથી માર માર્યો હતો અને જ્યારે તે ત્યાં ગયો ત્યારે તેમને પણ માર મારવામાં આવ્યો હતો. કોંગ્રેસે ઉચ્ચ સ્તરીય તપાસ અને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે.
ઉલ્લેખીય છે કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઇકાલે જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામજીએ આપણા ધર્મની રક્ષા માટે આપણને શક્તિ અને હિંમત આપી છે. સમાજમાં આવા દુષ્ટ-પાપીઓ છે, જેઓ દીકરીઓ અને સ્ત્રીઓ પર ખરાબ નજર રાખે છે, તેમને જેલમાં પૂરવા પૂરતું નથી. ત્યારે પરશુરામ જી પ્રેરણા આપે છે કે, આવા દુષ્ટોને કચડી નાખવા જોઈએ. શિવરાજસિંહ ચૌહાણના આ નિવેદન બાદ આ ઘટના ઘટી છે.