યુનિયન બજેટ 2021 : નરેન્દ્ર મોદી સરકારનું આ બજેટ સત્ર કેવી રીતે બની રહેશે ખાસ?
યુનિયન બજેટ 2021 : નરેન્દ્ર મોદી સરકારનું આ બજેટ સત્ર કેવી રીતે બની રહેશે ખાસ?
આ વખત સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. એટલે કે 17મી લોકસભાના પાંચમા સત્ર દરમિયાન અમુક દિવસોની રજા હશે, જે બાદ ફરીથી કાર્યવાહી શરૂ થશે.
કોરોના મહામારીને કારણે સંસદની ઘણી પરંપરાઓનેને બાજુએ મૂકી નવા 'પ્રોટોકોલ’ પ્રમાણે સંસદનું બજેટ સત્ર ચાલશે.
એવું પહેલી વખત થશે કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન સભ્યો 'સેન્ટ્રેલ હૉલ’ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસશે. નોંધનીય છે કે આ પહેલાં અભિભાષણ દરમિયાન તમામ સભ્યો 'સેન્ટ્રલ હૉલ’માં જ બેસતા હતા.
બજેટ સત્ર 29 જાન્યુઆરીના રોજ શરૂ થશે. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીનાં રોજ બજેટ રજૂ કરશે. એ પહેલાં સરકાર ગૃહમાં આર્થિક સર્વેક્ષણની કૉપી રજૂ કરશે.
પ્રથમ તબક્કામાં ગૃહની કાર્યવાહી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજા તબક્કામાં સત્ર 8 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી ચાલશે.
તપાસની વ્યવસ્થા
સમગ્ર સત્ર દરમિયાન 35 બેઠકો યોજાશે, જે પૈકી પ્રથમ તબક્કામાં 11 અને બીજા તબક્કામાં 24 બેઠકો થશે.
લોકસભા સચિવાલયના સૂત્રોએ આ અંગે જારી કરાયેલા વટહુકમના હવાલાથી કહ્યું છે કે 15 ફેબ્રુઆરીથી જે રજા આપવામાં આવી છે, તેનો ઉદ્દેશ સંસદની વિભિન્ન સમિતિઓની બેઠકો માટે સમય આપવાનો અને 8 માર્ચ સુધી આ સમિતિઓના રિપોર્ટ ગૃહમા રજૂ કરવાનો છે.
સંસદમાં ઘણા પ્રકારની સ્થાયી સમિતિઓ છે – જેમ કે લેખા, પ્રાક્કલન, વિશેષાધિકાર અને સરકારી આશ્વાસન સાથે સંબંધિત સમિતિઓ. આ સમિતિઓમાં મોટા ભાગે લોકસભાના 21 અને રાજ્યસભાના દસ સભ્યો હોય છે.
સત્ર દરમિયાન અને તે બાદ સમયાંતરે આ સમિતિઓની બેઠકો થતી રહે છે. પરંતુ સમિતિઓની બેઠકો સાથે સંબંધિત રિપોર્ટ દર આવનાર સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવે તે અનિવાર્ય હોય છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અનુસાર કોરોના મહામારીને કારણે સાંસદોની આરોગ્યની તપાસની વ્યવસ્થા તેમના નિવાસ નજીક જ કરવામાં આવશે, જેથી તેમના પરિવારના સભ્યોને આ માટે સંસદભવન ન આવવું પડે.
પહેલી વાર બજેટની કૉપી ડિજિટલ માધ્યમથી
કોરોના મહામારીને કારણે સંસદનું શિયાળુ સત્ર નહોતું યોજાઈ શક્યું અને મૉનસૂન સત્રમાં પણ મહામારીને લઈને ઘણાં પગલાં લેવામાં આવ્યાં હતાં.
મૉનસૂન સત્ર દરમિયાન સંસદીય કાર્યની સૌથી મહત્ત્વપૂર્ણ પરંપરા એટલે કે પ્રશ્નકાળને સ્થગિત રાખવામાં આવી હતી. વિપક્ષના વિરોધ વચ્ચે સરકારે દલીલ આપી હતી કે આવું મહામારીના કારણે કરવામાં આવ્યું હતું. પરતું આ વખત ફરીથી પ્રશ્નકાળ બજેટ સત્રમાં બહાલ કરવામાં આવ્યો છે.
https://twitter.com/JoshiPralhad/status/1351424677940322304
ભારત સરકારના સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને તેમના મંત્રાલયના ઉપમંત્રી અર્જુન રામ મેઘવાલે આને લઈને તમામ મંત્રાલયોના સચિવો સાથે બેઠક કરી, જેથી સભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોનો જવાબ યોગ્ય સમયે અને યોગ્ય રીતે આપી શકાય.
જોશી અનુસાર, “તમામ વિભાગો અને મંત્રાલયોના સચિવો સાથે તૈયારીઓની સમીક્ષા કરાઈ, જેથી ગૃહનું કાર્ય રોકટોક વિના ચાલી શકે.”
બીજી તરફ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરે કે સંસદના સભ્યો કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર બજેટ સત્રમાં સામેલ થઈ શકે.
સંસદના ઇતિહાસમાં આવું પહેલી વખત થશે, જ્યારે બજેટની કૉપી સભ્યોને કાગળ સ્વરૂપે નહીં મળે પરંતુ ડિજિટલ માધ્યમ દ્વારા અપાશે.
અન્ય પણ ઘણી પરંપરાઓની વિદાય
બજેટ પહેલાં રજૂ થતા આર્થિક સર્વેક્ષણની કૉપી પણ ડિજિટલ માધ્યમથી જ સભ્યોને પૂરી પાડવામાં આવશે. બિરલા અનુસાર માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણની પ્રિન્ટ થયેલ કૉપીઓ સભ્યોને અપાશે.
એવી પણ પરંપરા રહી છે કે જે દિવસે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે, એ દિવસે સભ્યો અને બજેટ તૈયાર કરનાર તમામ લોકો માટે 'સોજીનો હલવો’ પણ બને છે. આ બજેટની પ્રિન્ટિંગ પ્રેસમાં છાપકામ પહેલાં ભજવાતી પરંપરા છે.
પરંતુ કોરોના મહામારીને કારણે આ બજેટ સત્રમાં આવું નહીં થાય. સંસદના સચિવાલયના સૂત્રોનું કહેવું છે કે છાપકામ એટલા માટે પણ સંભવ નહોતું, કારણ કે આ કામમાં લાગતા અધિકારીઓને દસ દિવસ સુધી 'ક્વૉરેન્ટિન’ કરવું પણ અસંભવ થઈ ગયું હતું.
ગત વર્ષે બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે નાણામંત્રી દ્વારા ગૃહમાં બ્રીફકેસ લઈ જવાની પરંપરા પણ ખતમ કરી દીધી હતી અને તેઓ તેના સ્થાને 'વહી-ખાતું’ લઈને ગયાં હતાં.
પહેલાં બજેટ સત્ર દરમિયાન તેની કૉપીઓ અને તેને લગતા દસ્તાવેજોને સંસદ સુધી ટ્રક દ્વારા લઈ જવાતા હતા. હવે જ્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે, સભ્યોને આ નજારો પણ જોવા નહીં મળે.
સંસદનું બજેટ સત્ર સુચારુ રીતે ચાલે તેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરીના રોજ સંસદમાં વિપત્રના નેતાઓની બેઠક બોલાવી છે. તેમજ NDAના ઘટક દળો અને વિપક્ષી પાર્ટીઓ સાથે અલગ અલગ બેઠકોનું પણ આયોજન કરાયું છે.
વિપક્ષની પણ સરકારને ઘેરવાની વ્યૂહરચના
https://twitter.com/bbcnewsgujarati/status/1352523360115302400
વિપક્ષ પણ સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડી રહ્યો છે. તેમજ સરકાર ઇચ્છે છે કે સમગ્ર સત્ર કોઈ પણ જાતના અવરોધ વગર ચાલે. પરંતુ જે જે મુદ્દે સરકાર વિપક્ષની ટિકાનો સામનો કરવાની તૈયારી કરી રહી છે તે છે ખેડૂતઆંદોલન અને મૉનસૂન સત્રમાં પસાર કરવામાં આવેલ નવા કૃષિકાયદા.
રાષ્ટ્રીય જનતા દળના નેતા અને રાજ્ય સભાના સભ્ય પ્રોફેસર મનોજ ઝાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, “સતત નીચે જતું અર્થતંત્ર તમામ માટે ચિંતાનો વિષય છે. અર્થતંત્રની હાલત પહેલાંથી જ ખરાબ હતી તેના ઉપર મહામારીના પ્રકોપના કારણે યુવાનોનાં સ્વપ્નોની સાથોસાથ કામદારોની કમર પણ તૂટી ગઈ છે.’
“મોટા પ્રમાણમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને તેમની સમક્ષ કોઈ વિકલ્પ નથી. સરકાર પણ અત્યાર સુધી આના પર કશું નથી બોલી રહી, જેથી લોકોની હિંમત બંધાય. આ મામલો આવશ્યક છે અને અમે તે ગૃહમાં ઉઠાવીને તેની તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવાની કોશિશ કરશે.”
તેમનું કહેવું છે કે વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારથી જવાબ માગીશું. ખાસ કરીને ચીનના સવાલ પર કૉંગ્રેસે પણ સરકારને ગૃહમાં ઘેરવાની વ્યૂહરચના ઘડી રહી છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા બી. કે. હરિપ્રસાદે બીબીસી સાથે વાત કરતાં આરોપ લગાવ્યો કે 'કોરોના મહામારીની આડસમાં સરકારે લોકતાંત્રિક પરંપરાઓને ધ્વસ્ત’ કરવાનું કામ કર્યું છે.
તેઓ કહે છે કે મૉનસૂન સત્રથી પ્રશ્નકાળ દૂર હઠાવવો અને પછી શિયાળુ સત્રને સંપૂર્ણપણે ખતમ કરવું એ લોકતંત્રમાં એક અભૂતપૂર્વ પગલું જ હતું.
તેમનું કહેવું હતું, “ભારતીય જનતા પાર્ટીના નેતા કોરોનાકાળમાં મોટી મોટી રેલીઓ યોજી રહ્યા છે. હજારોની ભીડ એકઠી કરી રહ્યા છે. પરંતુ મહામારીનું કારણ આગળ ધરી સંસદ નથી ચલાવતા. પ્રશ્નકાળ સ્થગિત થવો એ પણ લોકતંત્રની પરંપરા પર હુમલો છે.”
જ્યાં સુધી ખેડૂત આંદોલનની વા છે, તો આ વખત ગૃહમાં ભારતીય જનતા પાર્ટીને NDAમાં પોતાના સહયોગી રાજકીય દળોના વિરોધનો સામનો કરવો પડી શકે છે.
અકાલી દળ તેમાં સૌથી પ્રમુખ છે. અન્ય દળો પણ કૃષિકાયદા અને ખેડૂતઆંદોલનને લઈને સરકારને ઘેરવાની વાત કરી રહ્યાં છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=k2-yuGTZ-6E
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો