ઉત્તર પ્રદેશનું સમાજવાદી દંગલઃ મુલાયમ અને અખિલેશ સામસામે
અખિલેશ પર પ્રહારો કરતા મુલાયમે કહ્યું કે, મેં ત્રણ વાર એમને બોલાવ્યા, પરંતુ તેઓ એક મિનિટ માટે જ આવ્યા અને મારી વાત શરૂ કરું એ પહેલા જ તેઓ નીકળી ગયા.
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી માટે આજનો સોમવારનો દિવસ મહત્વનો છે. ચૂંટણી પંચ તેમની પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર આજે નિર્ણય આપે એવું બને. આ બધા વચ્ચે મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અને તેમના પુત્ર અખિલેશ યાદવ અંગે મોટું નિવેદન આપ્યું છે. મુલાયમે કહ્યું કે, અખિલેશે પોતાની સરકારમાં હંમેશા મુસલમાનોની અવગણના કરી છે. અખિલેશ તો એક મુસલમાનની ડીજીપી તરીકે નિમણૂક કરવાની પણ વિરુદ્ધ હતા.
'અખિલેશ મારી વાત સાંભળવા તૈયાર નથી'
અખિલેશ પર પ્રહારો કરતાં મુલાયમે કહ્યું કે, મેં ત્રણ વાર અખિલેશને બોલાવ્યા, પરંતુ તેઓ એક મિનિટ માટે જ આવ્યા અને મારી વાત શરૂ કરું એ પહેલા જ તેઓ નીકળી ગયા. મુખ્યમંત્રીએ કોઇ કારણ વિના ઓમ પ્રકાશ, નારદ રાય, અંબિકા ચૌધરીને બહાર કરી દીધા. તેમણે મહિલા મંત્રીને પણ મંત્રીમંડળમાંથી ખસેડી દીધા. આ નેતાઓની શું ભૂલ હતી, તેમને શા માટે કાઢી મૂકવામાં આવ્યા. મેં અખિલેશને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ મારી કોઇ વાત સાંભળવા તૈયાર નથી. એ મંત્રીઓનું અને મારું શું થશે, એ ચૂંટણી પંચ નક્કી કરશે. હું આ પાર્ટી અને સાયકલના ચિહ્નને બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યો છું, પરંતુ જો અખિલેશ મારી વાત નહીં માને તો હું એમની વિરુદ્ધ લડીશ.
'સાયકલ નહીં મળે તો અલગ નિશાન સાથે ચૂંટણી લડીશ'
લખનઉના સપા કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુલાયમે કહ્યું કે, સાયકલના ચૂંટણી ચિહ્ન અંગે આજે ચૂંટણી પંચ જે નિર્ણય કરશે, તે હું મંજૂર રાખીશ. જો ચૂટંણી પંચ મને આ ચિહ્ન નહીં આપે, તો હું અલગ નિશાન સાથે ચૂંટણી લડીશ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, મુખ્યમંત્રીએ મોટા મોટા નેતાઓને મંત્રીમંડળમાંથી કાઢી મુક્યા, મંત્રી બલરામ યાદવને પણ કોઇ વાંક વિના મંત્રીમંડળમાંથી ખસેડી દેવામાં આવ્યા. મેં બલરામ યાદવને જબરજસ્તી મંત્રી બનાવડાવ્યા હતા.