પુત્રની હાર પર શું બોલ્યા મુલાયમ સિંહ યાદવ?
આજકાલ 'હાનિકારક બાપુ'ના નામથી ઓળખાતા મુલાયમ સિંહ યાદવે કહ્યું, સપાની હારનું કારણ છે કોંગ્રેસ સાથેનું ગઠબંધન.
જનતાએ ઉત્તર પ્રદેશમાં શનિવારે પોતાનો આખરી નિર્ણય લઇ લીધો છે, લોકતંત્રની લડાઇમાં જનતાએ પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ કરી છેલ્લા પાંચ વર્ષોથી ચાલતી સાયકલ પર આખરે રોક લગાવી છે.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં સમાજવાદી પાર્ટી ની હારનું કારણ છે, અખિલેશે પિતા મુલાયમ સિંહ યાદવ અને કાકા શિવપાલ યાદવની કરેલી અવગણના. જો કે, મુલાયમ સિંહ યાદવ નું કહેવું કંઇક અલગ છે. તેમણે કોંગ્રેસ સાથેના ગઠબંધનને આ માટે જવાબદાર ગણાવ્યું છે.
અખિલેશનો અહંકાર
સપાની હારનું એક કારણ અખિલેશ યાદવનો અહંકાર પણ મનાય છે. ચૂંટણીમા સપાના હાલ બેહાલ કરવા બદલ કાકા શિવપાલ યાદવ અને અમર સિંહ અખિલેશ પર દોષનો ટોપલો ઊંધો વાળી ચૂક્યાં છે. તેમણે આ માટે કોંગ્રેસ સાથેના અખિલેશના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે.
'હાનિકારક બાપુ'
એવામાં આજકાલ 'હાનિકારક બાપુ'ના નામથી ઓળખાતા મુલાયમ સિંહ યાદવે પણ કહ્યું કે, સપાની હારનું કારણ કોંગ્રેસ સાથેનું ગઠબંધન છે. નવભારત ટાઇમ્સના અહેવાલો અનુસાર મુલાયમે કહ્યું કે, જે કોંગ્રેસને યુપીની જનતા પહેલેથી નાપસંદ કરતી હતી, જે કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વ માટે જ લડત આપી રહી છે, તેનો સાથ જનતાને કઇ રીતે પસંદ પડી શકે?
સાર્વજનિક મંચ પર કર્યો હતો વિરોધ
મુલાયમે આગળ કહ્યું કે, મેં આ વાતનો વિરોધ કર્યો હતો, મેં તો સાર્વજનિક મંચ પર કહ્યું હતું કે ગઠબંધનથી પાર્ટીને નુકસાન થશે, પરંતુ અખિલેશે મારી કોઇ વાત ન સાંભળી અને હવે પરિણામ સૌની સામે છે.
તો સપાને પૂર્ણ બહુમત મળ્યો હોત
સપા નેતાએ સાફ કહ્યું કે, જો આ ગઠબંધન ન થયું હોત તો સમાજવાદીની સરકાર બની હોત. જો કોઇ કહેતું હોય કે મેં આ ગઠબંધનનું સમર્થન કર્યું છે તો તે ખોટા છે. મેં સાર્વજનિક રૂપે આ ગઠબંધનનો વિરોધ કર્યો હતો. જરૂર શું હતી? વર્ષ 2012માં અમે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી.
અહીં વાંચો