
યુપી સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યુ, હવે આ નામે ઓળખાશે!
ઝાંસી : બુધવારે મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણે ગૃહ મંત્રાલયના પત્ર સાથે સહમત થતા ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન કરવાનો આદેશ જારી કર્યો છે. આ અંગે રેલવેના જનસંપર્ક અધિકારી મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતા જ સ્ટેશનનું નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઝાંસી રેલવે સ્ટેશનનું નામ હવે વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન હશે. બુધવારે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ સાથે સહમત થતાં રાજ્ય સરકારે સ્ટેશનનું નામ બદલવાની સૂચના બહાર પાડી છે. હવે રેલવે મંત્રાલય તરફથી આદેશ મળતાની સાથે જ ડિવિઝનલ રેલવે એડમિનિસ્ટ્રેશન નામ બદલવાની વિભાગીય પ્રક્રિયા શરૂ કરશે. સ્ટેશન કોડ પણ બદલાશે.
ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રાખવાની લાંબા સમયથી માંગ હતી. બુંદેલખંડની જનતાની માંગ પર જનપ્રતિનિધિઓ વતી તેનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હતો. 3 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ માહિતી આપી હતી. ત્યારબાદ ગૃહ મંત્રાલયે સંબંધિત એજન્સીઓની ટિપ્પણીઓ અને મંતવ્યો આમંત્રિત કર્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી 24 નવેમ્બર 2021 ના રોજ ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને નામ બદલવા માટે પત્ર લખ્યો હતો.
સ્વાતંત્ર્ય સંગ્રામથી લઈને આઝાદી સુધીના સાક્ષી એવા ઝાંસી રેલવે સ્ટેશનને 1 જાન્યુઆરીએ તેના 133 વર્ષ પૂર્ણ થશે. તેનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી 1889ના રોજ થયું હતું. તેની સ્થાપના ગ્રેટ ઈન્ડિયન પેનિન્સ્યુલર રેલ્વે દ્વારા કરવામાં આવી હતી. શરૃઆતમાં માત્ર થોડી જ ટ્રેનો સ્ટીમ એન્જીન પર ચાલતી હતી, આજે આ સ્ટેશન દેશના મુખ્ય સ્ટેશનોમાંનું એક છે. અહીંથી દરરોજ 250 થી વધુ ટ્રેનો પસાર થાય છે. જેમાં શતાબ્દી એક્સપ્રેસ, ગતિમાન અને રાજધાની એક્સપ્રેસ જેવી વીઆઈપી ટ્રેનોનો સમાવેશ થાય છે.