UPA સરકાર દેશ વેચી રહી છે, પૈસા પાર્ટી ફંડમાં જમા થાય છે : મમતા
મમતા બેનરજીએ જનઇમાં યોજાયેલી પંચાયત ચૂંટણીની જનસભામાં આરોપ લગાવ્યો હતો કે "તેઓ દેશને વેચી રહ્યા છે અને સમગ્ર ધન પાર્ટીના કોષમાં જમા થઇ રહ્યું છે." મમતાએ દાવો કર્યો કે એલપીજી ગ્રાહકોને વર્તમાન રૂપિયા 450 પ્રતિ સિલિન્ડર સબસિડી મળે છે. હવે નવેમ્બરથી તેમણે રૂપિયા 900 ચૂકવવા પડશે. પેટ્રોલની કિંમતો પણ 50 ગણી વધી ગઇ છે.
મમતા બેનરજીએ અહીં યુપીએ સરકારમાંથી ટીએમસીનો ટેકો પાછો ખેંચવાના નિર્ણયનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે પાર્ટી પોતાના સિદ્ધાંતો અને પ્રતિબદ્ધતાઓથી પાછળ ખસી નથી. પાર્ટીએ પોતાના મંત્રીઓના પદની ચિંતા પણ કરી નથી.
મમતાએ જણાવ્યું કે સિંગુરમાં ખેડૂતોને તેમની જમીન પાછી આપવાની મારી ઇચ્છા પૂરી થઇ જશે, ત્યારે જ મને શાંતિ થશે. તૃણમૂલ કોંગ્રેસ ક્યારેય પણ સિંગુરની જમીન અધિગ્રહણ નહીં કરે. જ્યારે કોઇની જમીન જબરદસ્તી આંચકી લેવામાં આવે છે, ત્યારે તે ભિખારી બની જાય છે. તે માટે મને મોટું દુ:ખ અનુભવાય છે.