કેબિનેટ રિશફલ: રાજીનામા બાદ શું કહ્યું મંત્રીઓએ?
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં થનાર મોટા પરિવર્તનોની શરૂઆત થઇ ચૂકી છે. 6 મંત્રીઓએ રાજીનામું આપ્યા બાદ હવે આગળ શું ફેરફાર થાય છે, એ વાંચો અહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં મોટા પરવિર્તનની શરૂઆત થઇ ચૂકી છે. કેબિનેટમાં ફેરબદલ પહેલાં જ છ મંત્રીઓએ પોતાનું રાજીનામું આપી દીધું છે. રાજીવ પ્રતાપ રૂડી, ફગ્ગન સિંહ કુલસ્તે, કલરાજ મિશ્રા, નિર્મલા સીતારમણ અને સંજીવ બાલિયાને પોતાનું રાજીનામું રજૂ કર્યું છે. ઉમા ભારતીએ પણ પોતાના નબળા સ્વાસ્થ્યને કારણે રાજીનામું રજૂ કર્યું છે. યુપી ભાજપના અધ્યક્ષ બનાવ્યા બાદ કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેએ પણ રાજીનામું આપ્યું હતું. આ ઘટનાક્રમ બાદ હવે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં કયા નવા ચહેરા ઉમેરાશે અને કોને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવશે, એ અંગે પણ અટકળો શરૂ થઇ ચૂકી છે.
મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ
3 સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળ વિસ્તરણ થશે અને સાથે જ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. રાષ્ટ્રપતિ ભવનને આ અંગે જાણકારી આપવામાં આવી છે.
રાજીનામા અંગે મંત્રીઓનું નિવેદન
- રાજીનામાના કારણ અંગે મીડિયા સાથે વાત કરતાં રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું કે, પાર્ટીએ નિર્ણય લીધો કે તમે તમારું રાજીનામું આપો, આ ઘણી સમાન્ય વાત છે. સરકારમાં કામ કરવાની તક મળી અને આગળ પણ પાર્ટીમાં કરવાની તક મળશે બસ એ જ અભિયાન સાથે આગળ વધી રહ્યાં છીએ. આ તો સરકારનો પ્રેરોગેટિવ હોય છે. પાર્ટીનો, પીએમનો નિર્ણય હોય છે અને એમાં કોઇ તર્ક નથી હોતો.
- સંજીવ બાલિયાને જણાવ્યું કે, રાજીનામું માંગવામાં આવ્યું, મેં આપી દીધું. હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પાર્ટીનો પ્રચાર કરીશ.
- ફગ્ગન કુલસ્તેએ જણાવ્યું કે, હું પાર્ટીનો જવાબદાર સભ્ય છું અને હું પાર્ટીના નિર્ણયની સાથે છું.
સુરેશ પ્રભુ પણ થશે બહાર
મનાવામાં આવી રહ્યું છે કે, પરિવહન મંત્રી નિતિન ગડકરીને રેલ્વે વિભાગની જવાબદારી સોંપવામાં આવશે. થોડા સમય પહેલાં જ થયેલ રેલ્વે અકસ્માતો બાદ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ પોતાનું રાજીનામું રજુ કર્યું હતું. સુરેશ પ્રભુ કેબિનેટની બહાર થાય એવી શક્યતા ઘણી વધારે છે. આ સિવાય પણ અનેક મંત્રીઓ વિરુદ્ધ ફરિયાદો હતી.
જદયુના સાંસદો પણ જોડાશે?
પહેલાં કહેવાઇ રહ્યું હતું કે, પીએમ મોદી ચીનની યાત્રાએથી પરત ફરી કેબિનેટમાં પરિવર્તન કરશે. પીએમ મોદી 3 સપ્ટેમ્બરના રોજ ચીનમાં આયોજિત બ્રિક્સ સમિટમાં ભાગ લેનાર છે. કેબિનેટ વિસ્તાર પહેલા અમિત શાહ તમામ નેતાઓ સાથે બેઠક કરી હતી. તો બીજી બાજુ બિહારમાં જે રીતે મહાગઠબંધનની સરકાર તૂટ્યા બાદ નીતીશ કુમારે ભાજપ સાથે સરકાર બનાવી, એ જોતાં જદયુના સાંસદ પણ કેબિનેટમાં જોડાય એવી શક્યતા છે.