અમેરિકાના રાજદૂત, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કરુણાનિધિના નિધન પર વ્યક્ત કર્યો શોક
કરુણાનિધિના નિધન પર ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરિસેનાએ પણ શોક વ્યક્ત કર્યો છે.
ડીએમકેના પૂર્વ પ્રમુખ અને પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા એમ કરુણાનિધિનું મંગળવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. 94 વર્ષની ઉંમરમાં પોતાના ચાહકોને અલવિદા કહેનારા કરુણાનિધિએ માત્ર સિનેમા નહિ પરંતુ રાજનીતિના પટ પર પણ ઘણી સફળ સ્ક્રિપ્ટ લખી હતી. કરુણાનિધિના નિધન પર ભારતમાં અમેરિકી રાજદૂત કેન જસ્ટર અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરિસેનાએ પણ શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે કરુણાનિધિ પાસે રાજકારણનો પાંચ દાયકાથી પણ વધુનો અનુભવ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમિલોના હક માટે લડ્યા કરુણાનિધિ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ સીરિસેનાએ પોતાના શોક સંદેશમાં કહ્યુ છે કે, 'પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા કરુણાનિધિના નિધન પર હું શોક વ્યક્ત કરુ છુ.' સીરિસેનાએ આ સાથે તેમના પરિવાર અને તેમના નજીકના લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. 30 જુલાઈના રોજ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે હોસ્પિટલ જઈને કરુણાનિધિના પુત્ર સ્ટાલિનને તેમના પિતાના ખબરઅંતર પૂછ્યા હતા અને સાથે જ કરુણાનિધિની મુલાકાત કરી હતી. કરુણાનિધિને એક એવા નેતા તરીકે ઓળખવામાં આવે છે જે હંમેશા શ્રીલંકામાં વસેલા તમિલોના હક માટે લડાઈ લડતા રહ્યા હતા. તેમના નિધન બાદ શ્રીલંકામાં પણ શોકનો માહોલ છે.
વળી, અમેરિકી રાજદૂત કેન જસ્ટરે તેમના નિધન પર કહ્યુ, 'અમેરિકાના લોકોની તરફથી હું કરુણાનિધિના નિધન પર તેમના પરિવાર અને રાજ્યના લોકો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરુ છુ.' જસ્ટરે કરુણાનિધિને એક એવા નેતા ગણાવ્યા જેમણે હંમેશા પોતાના રાજ્ય અને દેશના લોકોની સેવાને સૌથી ઉપર રાખી. આ ઉપરાંત ઘણા ક્રિશ્ચિયન સંગઠનો તરફથી પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.