મુઝફ્ફરનગર રેલ દુર્ઘટના માટે જવાબદાર કોણ? વાયરલ થયો ઓડિયો
મુઝફ્ફરનગર રેલ દુર્ઘટના મામલે આઇપીસીની કલમ 304 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શનિવારે સાંજે મુઝફ્ફરનગરમાં ઘટેલ રેલ દુર્ઘટનાને કારણે ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. આ ઘટના માટે વિપક્ષ તરફથી ભાજપ સરકારને દોષ આપવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયા પર રેલ મંત્રી સુરેશ પ્રભુ વિરુદ્ધ નિવોદનો થઇ રહ્યાં છે. આ લખાય છે ત્યાં સુધી, મુઝફ્ફરનગરની રેલવે દુર્ઘટનામાં 24 લોકોનું મૃત્યુ અને 150 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ખબર છે.
ઓડિયો ક્લિપ આવી સામે
આ મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ દુર્ઘટના બાદ રવિવારે બે રેલવે કર્મચારીઓ વચ્ચેની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. આ ક્લિપમાં એક ગેટમેન અન્ય રેલવે કર્મચારી સાથે વાત કરતો સાંભળવા મળે છે. ગેટમેન અનુસાર, જે ટ્રેક પર દુર્ઘટના થઇ તેનું વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું, કામદારોએ પોતાના કામમાં વેઠ ઉતારી હતી. પાટા બરાબર જોડાયા જ નહોતા અને સામેથી ટ્રેન આવી ગઇ. ટ્રેનને થોભવા માટે ના તો સિગ્નલ આપવામાં આવ્યું કે ના તો લાલ ઝંડો દેખાડવામાં આવ્યો.
એન્જિનિયરની વાત નહોતા માનતા કર્મચારીઓ
ગેટમેન અનુસાર, થોડા સમય પહેલાં જ ત્યાં એક જૂનિયર એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ રેલવેના કેટલાક જૂના કર્મચારીઓ તેની વાત નહોતા માનતા અને પોતાની મરજી ચલાવતા હતા. રેલવે કર્મચારીઓ સાઇટ પર આવી કામ કરવાની જગ્યાએ બેસી રહેતા હતા. કાપેલા પાટાને જોડવાનું કામ પણ તેમણે નહોતું કર્યું, તેઓ પોતાના મશીન ત્યાં જ મુકીને જતા રહ્યાં હતા. એન્જિનિયર પણ તેમની પાસે કામ નહોતો લઇ શકતો.
ભાગી ગયા કર્મચારીઓ
ગેટમેને પોતાની વાત આગળ વધારતાં જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ એ તમામ કર્મચારીઓ નાસી છૂટ્યા છે. નવો જૂનિયર એન્જિનિયર પણ નાસી છૂટ્યો છે અને તેણે પોતાનો મોબઇલ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે.
અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ દાખલ
તાજેતરના સમાચાર મુજબ આ મામલે અજ્ઞાત લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 304A(ગેરજવાબદારીને કારણે મૃત્યુ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ભયાવહ ઘટનામાં ઉત્કલ એક્સપ્રેસ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરીને અન્ય ડબ્બા પર ચડી ગયા હતા. કેટલાક ડબ્બા આજુ-બાજુના મકાનો અને રેલવે ટ્રેક પાસે આવેલ કોલેજમાં પણ ઘુસી ગયા હતા. શનિવારે સાંજે 5 વાગીને 46 મિનિટે આ અકસ્માત સર્જાયો હતો.
રેલવે મંત્રીએ આપ્યા કડક નિર્દેશ
રેલ મંત્રી સુરેશ પ્રભુએ પોતાના વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઇ પણ હિસાબે રવિવારે સાંજ સુધીમાં આ મામલા માટે કોણ જવાબદાર એ નક્કી કરે. સુરેશ પ્રભુએ શનિવારે જ આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ આખી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે, જો તપાસમાં કશે પણ કોઇપણ જાતની ચૂક જોવા મળી, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
વળતરની જાહેરાત
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે સરકાર તરફથી વળતરની ઘોષણા કરવામાં આવી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃત્યુ પામેલ લોકોના પરિવારજનો માટે 5 લાખ તથા રેલવે વિભાગે 3.5 લાખના વળતરની ઘોષણા કરી છે. ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.