માયાવતી પર ટિપ્પણી કરવાના મામલે સંજય દત્તને સમન
માયાવતી અંગે આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ સંજય દત્તને કોર્ટના સમન. વર્ષ 2009ની લોકસભા ચૂંટણીના પ્રચાર સમયે કરી હતી ટિપ્પણી. આ અંગે વધુ વાંચો અહીં...
ઉત્તર પ્રદેશના બારાબંકીની મેજિસ્ટ્રેટ અદાલતે બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વિરુદ્ધ સમન જાહેર કર્યું છે. અપર મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે બુધવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપના પ્રમુખ માયાવતી વિરુદ્ધ વર્ષ 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં આપત્તિજનક ટિપ્પણી કરવાના મામલે સંજય દત્ત સામે સમન જાહેર કર્યું છે. સંજય દત્તને 16 નવેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. અદાલતે મુંબઇ પોલીસ કમિશ્નરને સમનનો અમલ કરાવવાનો અને અભિનેતા સંજય દત્તને 16 નવેમ્બર પહેલા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
19 એપ્રિલ, 2009ના રોજ બારાબંકીના ટિકૈતનગરમાં થયેલ ચૂંટણી સભામાં સંજય દત્તે કરેલ ભાષણ સામે આ સમન જાહેર કરવામાં આવ્યું છે. આ ભાષણમાં તેમણે તે સમયના મુખ્યમંત્રી માયાવતીને 'જાદુ કી ઝપ્પી' આપવાની વાત કરી હતી, જે અંગે ઘણો વિવાદ થયો હતો તથા ટિકૈતનગર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમની પાસે ભાષણનું રેકોર્ડિંગ હતું, જેને આધારે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ મામલે સંજય દત્તને હાઇકોર્ટ તરફથી સ્ટે મળી ગયો હતો. 28 નવેમ્બર, 2016ના રોજ આ સ્ટે પૂર્ણ થયા બાદ મામલની કાર્યવાહી આગળ વધી હતી અને બુધવારે સમન જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી સમયે સંજય દત્ત સમાજવાદી પાર્ટીમાં હતા. તેઓ પાર્ટી મહાસચિવ ઉપરાંત પાર્ટીના સ્ટાર પ્રચારક પણ હતા.