‘પ્રધાનમંત્રી મોદી 21મી સદીના આંબેડકર છે': ઉત્તરાખંડ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાથે કરી છે.
આર્થિક રીતે નબળા સવર્ણોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત બિલ લોકસભામાં પાસ થઈ ગયુ. સંસદમાં 323 સાંસદોએ બિલના સમર્થનમાં મતદાન કર્યુ જ્યારે 3 મત વિપક્ષમાં પડ્યા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાથે કરી છે. રાવતે કહ્યુ કે જે રીતે કેન્દ્ર સરકારે આર્થિક આધાર પર સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે તે બાદ સામાન્ય વર્ગના લોકોને ખૂબ લાભ મળશે. પીએમ મોદીનો આ નિર્ણય ભાજપ સરકારના સબકા સાથ સબકા વિકાસને પૂર્ણ કરે છે. પીએમ મોદીની પ્રશંસા કરીને રાવતે કહ્યુ કે નરેન્દ્ર મોદી 21મી સદીના આંબેડકર છે.
સમાજના દરેક વર્ગ વિશે વિચાર્યુ
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પીએમની પ્રશંસા કરતા કહ્યુ કે પીએમ મોદી ખુદ ગરીબ મા-બાપના દીકરા છે અને તેમણે સમાજના દરેક વર્ગ વિશે વિચાર્યુ. ઘણા લાંબા સમયથી સામાન્ય વર્ગના લોકો દ્વારા આર્થિક આધાર પર અનામતની માંગ કરવામાં આવી રહી હતી. એવામાં જે રીતે નરેન્દ્ર મોદી સરકારે આ નિર્ણય લીધો છે તેનો સામાન્ય વર્ગના ગરીબ વર્ગને ઘણો લાભ મળશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આ બાબતે લોકસભામાં બિલ રજૂ કર્યુ હતુ જેને પાસ કરી દીધુ છે અને હવે આ બિલને રાજ્યસભામાં પાસ કરવાનું છે.
|
સમર્થન કરનાર સાંસદોનો આભાર માન્યો
બિલ પાસ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સમર્થન કરનાર સાંસદોનો આભાર માન્યો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે બંધારણ (124મો સુધારો) બિલ લોકસભામાં પાસ થવુ આપણા દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. પીએમએ કહ્યુ કે હું એ બધા પક્ષોના સાંસદોનો આભાર માનુ છે જેમણે લોકસભામાં આ બિલનું સમર્થન કર્યુ. આ ઉપરાંત એ સહયોગી સાંસદોની પણ પ્રશંસા કરુ છુ જેઓ પોતાના વિચારો સાથે ચર્ચામાં શામેલ થયા.
|
દરેક વર્ગની આકાંક્ષાઓને કરતી સાકાર...મોદી સરકાર
વળી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ કે દરેક વર્ગની આકાંક્ષાઓને કરતી સાકાર...મોદી સરકાર. દેશના આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપનાર ઐતિહાસિક સુધારા બિલ લોકસભામાં પાસ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બધા સહયોગીઓને હ્રદયપૂર્વક અભિનંદન. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સંસદમાં પાસ થયેલા બંધારણ (124 સુધારા) બિલ 2019 પર કહ્યુ છે કે મને સારુ લાગ્યુ કારણકે મારા બાળકો મને પૂછતા હતા કે અમારા માટે શું, આર્થિક રીતે નબળા માટે શું, માત્ર જાતિગત બાબત હશે? આજે ઘણા સવાલોના જવાબ આપવામાં આવ્યા. આ લાંબા સમયે ઘણુ લાભકારી બનશે.
|
આ બિલ રાષ્ટ્રના હિતમાં લાવવામાં આવ્યુ
ગૃહમંત્રી રાજનાથ સિંહે આને ઐતિહાસિક ગણાવ્યુ છે. તેમણે કહ્યુ કે આ એક ઐતિહાસિક બિલ છે. જે લોકોને અત્યાર સુધી અનામતનો લાભ નથી મળી શક્યો તે લાભાન્વિત થશે. આ લાંબા સમયથી લોકોની માંગ હતી. આ બિલ રાષ્ટ્રના હિતમાં લાવવામાં આવ્યુ છે. મને વિશ્વાસ છે કે આ રાજ્યસભામાં પણ પાસ થઈ જશે. માનવામાં આવી રહ્યુ છે કે આજે રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે. મોદી સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે આને રાજ્યસભામાં પાસ કરાવવામાં આવે. આ બિલ માટે જ શિયાળુ સત્રને એક દિવસ માટે લંબાવવામાં આવ્યુ છે. શિયાળુ સત્ર 11 ડિસેમ્બરે શરૂ થયુ હતુ અને 8 જાન્યુઆરીએ ખતમ થવાનુ હતુ. હવે શિયાળુ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે વધારીને 9 જાન્યુઆરી સુધી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સપા-બસપાના ગઠબંધનને લઈ રાહુલે આપ્યું મોટું નિવેદન