ચારા કૌભાંડના ત્રીજા કેસમાં પણ લાલુ પ્રસાદ દોષી જાહેર થયા
લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના ત્રીજા કેસમાં પણ સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે દોષી જાહેર કર્યા છે. જાણો આ ખબર અંગે વધુ અહીં.
બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ એક પછી એક ત્રીજા ચારા કૌભાંડ કેસમાં પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ ચાઇબાસા ટ્રેઝરીથી 1992-93માં 67 નકલી ફાળવણી પત્રો પર 33.67 કરોડની ગેરકાયદેસર ઉચાપાત કરવા માટે દોષી જાહેર કરવામાં આવ્યા છે. આ કેસ 1996માં નોંધવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા લાલુ યાદવ દેવઘર ટ્રેઝરી મામલે પણ 23 ડિસેમ્બરના રોજ દોષી જાહેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ કેસમાં 76 આરોપી હતા. જેમાંથી 14 આરોપીઓની સુનવણી દરમિયાન મોત થઇ ગઇ છે. અને બે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. અને ત્રણ આરોપીઓ સરકારી સાક્ષી બની ગયા છે. વધુમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી સીબીઆઇની કોર્ટે ચારા કૌભાંડ મામલે ડે ટૂ ડે બેસિસ પર સુનવણી કરી રહી છે. લાલુ પ્રસાદ યાદવ પર ઘાસ ચારા કૌભાંડ મામલે કુલ 5 કેસ દાખલ છે. જેમાંથી 3 કેસમાં હજી સુધી તેમને દોષી કહેવામાં આવ્યા છે. અને અન્ય બે કેસમાં આવનારા સમયમાં ચુકાદો આવશે.
નોંધનીય છે કે બીજી તરફ લાલુ યાદવના પરિવારજનોનું કહેવું છે કે રાજકીય કારણોના લીધે ખોટી રીતે તેમના પિતાને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે આ કેસ અંગે આગળ કાર્યવાહી કરવાની વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં જતા પહેલા લાલુ યાદવે પણ આ મામલે પોતાને નિર્દોષ હોવાની વાત કહી હતી. પણ કોર્ટે, પુરાવાઓને જોઇને તેમને ત્રણ કેસોમાં અત્યાર સુધી દોષી જાહેર કર્યા છે. વધુમાં દેવઘર કેસમાં લાલુને 3 વર્ષની સજા અને 5 લાખ રૂપિયા દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે. વધુમાં લાલુ પ્રસાદ યાદવ સમેત આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રા, વિદ્યાસાગર નિષાદ, જગદીશ શર્મા, ધ્રુવ ભગત અને આર કે રાણા સમેત ત્રણ પૂર્વ આઇએએસ ઓફિસર ફૂલચંદ્ર સિંહ, મહેશ પ્રસાદ, સજલ ચક્રવર્તી અને એક ટ્રેઝરી અધિકારી જેવા મોટા માથાઓના નામ પર આરોપનો ટોપલો મૂકવામાં આવ્યો હતો. ત્યારે એક પછી એક ઘાસચારા કૌભાંડના કેસમાં લાલુના નામને દોષી જાહેર કરતા લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી છે.