અનુપમ ખેર FTII ના નવા ચેરમેન નિયુક્ત
FTIIના ચેરમેન બન્યા અભિનેતા અનુપમ ખેર, ગજેન્દ્ર ચૌહાણની જગ્યા લેશે
બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(FTII)ના ચેરમેન બનાવવામાં આવ્યા છે. અનુપમ ખેર ગજેન્દ્ર ચૌહાણની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગજેન્દ્ર ચૌહાણની એપટીઆઈઆઈ ના ચેરમેન તરીકેની નિમણૂક અંગે સવાલો થઇ રહ્યાં હતા. અનુપમ ખેરની ચેરમેન પર પર નિયુક્તિ અંગે ગજેન્દ્ર ચૌહાણે ખુશી વ્યક્ત કરી છે. અનુપમ ખેરના પત્ની તથા ભાજપ સાંસસ કિરણ ખેરે પણ આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.
અનુપમ ખેરે પોતે જ એફટીઆઈઆઈના ચેરમેન પદ પર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિ પર સવાલો કર્યા હતા, હવે કેન્દ્ર સરકાર દ્વારા અનુપમ ખેરને જ આ પદ સોંપવામાં આવ્યું છે. વર્ષ 2015માં ગજેન્દ્ર ચૌહાણને એફટીઆઈઆઈના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા, આ નિર્ણયનો ત્યાંના વિદ્યાર્થીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. જો કે, તે સમયે સરકાર દ્વારા કોઇ પણ પ્રકારના પરિવર્તનની વાત નકારવામાં આવી હતી. આ મામલે દેશભરના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને દિલ્હી સહિત કેટલાક ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓએ 139 દિવસો સુધી હડતાલ કરી હતી.
ફિલ્મી જગતની અનેક હસતીઓએ ચોખ્ખા શબ્દોમાં ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિનો વિરોધ કર્યો હતો અને તેમને રાજીનામું આપવા પણ જણાવ્યું હતું. આકરા વિરોધને કારણે ગજેન્દ્ર ચૌહાણ પોતાની નિયુક્તિના સાત મહિના બાદ પોતાનું પદ સંભાળી શક્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગજેન્દ્ર ચૌહાણે મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકા ભજવી હતી અને એમાં જ એમને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી. તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.