તમે ઉંઘી ગયા છો એટલે તેઓ લૂંટી રહ્યાં છેઃ અણ્ણા
જલંધર પહોંચેલા અણ્ણા હજારે અને તેમના સાથીઓએ વાતચીતમાં કોઇ રાજકીય પક્ષ કે નેતાનું નામ લીધા વગર કહ્યું કે, રાજનેતા જનતાના સેવક છે, જનતા તેમને આપણા ભવિષ્યની રૂપરેખા નક્કી કરવા માટે મોકલે છે. તેઓ સંસદ કે પછી વિધાનસભાઓમાં જઇને જ લૂંટેરાઓની ભૂમિકામાં આવી જાય છે અને આપણી તીજોરીઓને લૂંટવાનું શરૂ કરી દે છે.
અણ્ણાએ લોકોને અપીલ કરી છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં એવા નેતાઓને જનતા પસંદ કરે જેમની છબી સ્વચ્છ હોય. હાલની સંસદમાં 163 સાંસદો દાગી છે. 15 મંત્રી આરોપી છે. આમ સ્વયં સમજવું જોઇએ કે તે પોતાના પર લાગેલા ડાઘોને ધોશે, પોતાના આરોપોને હટાવવાનો પ્રયત્ન કરશે કે તમારી સમસ્યાઓને જોશે.
અણ્ણાએ ગત રાત્રે સંબોધનમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે જનલોકપાલ બીલ જરૂરી છે અને આ જ કારણ છે કે દાગી અને ભ્રષ્ટ નેતાઓ તેને પાસ થવા નહીં દે, કારણ કે તેનાથી તેઓ ડરી ગયા છે. હું તમને જાગૃત કરવા આવ્યો છું. તમે જાગો કારણ કે હું આ મારા માટે નહીં પરંતુ તમારા લોકો માટે કરી રહ્યો છું.
અણ્ણાએ સંપૂર્ણ પરિવર્તનનું આહવાન કરતા કહ્યું કે, મારા શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહેશે, હું જનલોકપાલ બીલ માટે લડતો રહીશ. જનલોકપાલ આવસે ત્યારે ભારત ભ્રષ્ટાચાર મુક્ત થઇ શકશે. આપણું લોકતંત્ર જીવીત રહી શકશે. હું તમને બધાને અપીલ કરું છું કે જાગો, ઉંઘી નહીં. તમે ઉંઘી ગયા છો તેથી તે લોકો લૂંટી રહ્યાં છે.
બીજી તરફ પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી કે સિંહે કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચાર એટલું વધારે છે કે આપણે કોઇપણ કામ કરાવવા માટે લાંચ આપવી પડે છે. આપણો હેતુ ભ્રષ્ટાચાર મુક્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે. આપણને ફોજમાં શીખવવામાં આવે છે કે દેશ સેવા સર્વોપરિ છે પરંતુ આજના નેતાઓને દેશ સેવાની બધાની નીચે લાવી દીધી છે. સિંહે કહ્યું છે કે આ રાજનેતાઓ જ છે જે દેશને જાતિ, ઘર્મ, ભાષા અને ક્ષેત્ર વગેરેના નામ પર વેંચી રહ્યાં છે. આપણે મુર્ખ છીએ અને વેંચાઇ પણ જઇએ છીએ. તેથી હવે જાગવું જરૂરી છે કારણ કે એવા લોકો લાવવામાં આવે જે સત્તા નહીં પરંતુ આપણી સેવા કરે. આ પહેલા ગત રાત્રે વર્લ્ડ પીસ ફોરમમાં સૂપ સૈયદ જલાનીએ પણ કહ્યું હતું કે ભ્રષ્ટમુક્ત દેશ બનાવવા માટે રાજનીતિમાં ફેરબદલ જરૂરી છે.