મુંબઇ, 9 માર્ચ: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના લોકસભા ચૂંટણી લડવા જઇ રહી છે. રાજ ઠાકરેએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનું સમર્થન કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ ઠાકરેએ જાહેરાત કરી દીધી છે કે એમએનએસના જે પણ ઉમેદવારો જીતીને આવશે તે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે. એમએનએસના 8માં સ્થાપના દિવસના અવસરે રાજ ઠાકરેએ પોતાની પહેલી સૂચિ જાહેર કરી દીધી છે. પાર્ટીની તરફથી જારી કરવામાં આવેલી પ્રથમ સૂચિમાં ભાજપની વિરુધ્ધ કોઇ ઉમેદવાર ઉતારવામાં નથી આવ્યો.
આને રાજ ઠાકરે અને ગડકરીની મુલાકાતની અસરના સ્વરૂપે જોવામાં આવી રહ્યું છે. પહેલી સૂચિમાં સાત ઉમેદવારોના નામ છે. જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં પ્રમુખ છે બાલા નંદગાંવકરને દક્ષિણ મુંબઇથી, નોર્થ વેસ્ટ મુંબઇથી ફિલ્મ મેકર મહેશ માંજરેકરને, સાઉથ સેન્ટ્રલથી આદિત્ય શિરોડકરને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કલ્યાણથી રાજુ પાટિલને ટિકિટ આપવામાં આવી છે.
રાજ ઠાકરે દ્વારા આ આજે કરવામાં આવેલી આ જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા નિતિન ગડકરીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 'હું રાજ ઠાકરે દ્વારા લેવાયેલા આ નિર્ણયનું સ્વાગત કરું છું અને તેમને અભિનંદન આપું છું. મહારાષ્ટ્રમાં ભાજપ અને અન્ય સ્થાનિક પાર્ટીઓ સાથે એલાયન્સ છે, અને આ એનડીએના ઉમેદવારો અહીંથી સારી રીતે ચૂંટાઇને આવે તથા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં મદદ કરે તેવો અમારો ઉદ્દેશ્ય છે.'