જે વિવાદે બેંગલુરુને ભડકે બાળ્યું, તે “કાવેરી વિવાદ” શું છે જાણો અહીં...
કાવેરી નદીમાં પાણીના વિભાજનને લઇને કર્ણાટક અને તમિલનાડુના લોકોનું પ્રદર્શન હિંસક બન્યું છે. કર્ણાટકમાં વિરોધ પ્રદર્શનમાં એક વ્યક્તિની મોત થઇ છે તો બીજી તરફ બેંગલુરુના અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને પોલિસ વ્યવસ્થા પણ વધારવામાં આવી છે. અને પોલિસે આપાતકાલીન સ્થિતિમાં 100 નંબર ડાયલ જાહેર કર્યો છે. ત્યારે જે વિવાદે હાલ તમિલનાડુ અને કર્ણાટક બન્નેમાં ભારે ધર્ષણ ચાલી રહ્યું છે તે કાવેરી વિવાદ શું છે. તે વિષે વાંચો અહીં...
ઇતિહાસ
કાવેરી એક અંતરાજ્યીય નદી છે. જે કર્ણાટક અને તમિલનાડુ બન્નેમાંથી પસાર થાય છે અને તેનો એક ભાગ કેરલમાં પણ પડે છે. અને પોંડીચેરીમાં પણ પડે છે. માટે જ આ નદીના પાણીનો ઉપયોગ કયા રાજ્ય કેટલો અને કેમ કરી શકશે તે મામલે હંમેશાથી વિવાદ રહ્યો છે.
અંગ્રેજોના સમયથી છે વિવાદ
કાવેરી જળ વિવાદ આજનો નથી, અંગ્રેજોના સમયથી છે. 19મી સદીમાં મદ્રાસ પ્રેસિડન્સી અને મૈસૂર રાજા વચ્ચે આ વિવાદ શરૂ થયો હતો. 1924માં તેમની વચ્ચે એક કરાર થયો હતો. જેમાં પાછળથી કેરળ અને પોંડીચેરીને પણ સમાવવામાં આવ્યા હતા.
કર્ણાટકને વાંધો હતો
પણ કરાર પછી પણ કર્ણાટકને વાંધો હતો પણ તે સમયે અંગ્રેજોનું શાસન હતું અને તે સમયે કર્ણાટક એક રજવાડુ હતું અને તમિલનાડુ બ્રિટિશ રાજ હેઠળ હતું માટે આ કરાર પર હસ્તાક્ષર તો થઇ ગયા પણ કાવેરી વિવાદ મામલે હંમેશા કેટલાક રાજ્યોને પોતાની સાથે અન્યાય થયો હોય તેમ લાગતું રહ્યું છે. અને આ જ કારણે આ મામલે વિવાદ પણ અવારનવાર થતો રહ્યો છે.
કર્ણાટકનું મંતવ્ય
આ કરારને લઇને સૌથી વધુ વાંધો કર્ણાટકને છે. કર્ણાટકનું માનવું છે કે તેનો કૃષિ વિકાસ તમિલનાડુ કરતા પાછત રહ્યો છે તે પણ કાવેરીનું ઉગમસ્થાન કર્ણાટકમાં હોવા છતાં! કર્ણાટકનું માનવું છે કે તેને ત્યાંથી નદી શરૂ થાય છે જે હેઠળ તેના પાણી પર તેનો પૂર્ણ અધિકાર હોવા જોઇએ.
1972માં એગ્રીમેન્ટ
જે બાદ આ મામલે 1972માં એક કમિટી બનાવી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને 1976માં ચાર દિવાલો વચ્ચે તેના ચાર દાવેદારોમાં એક એગ્રીમેન્ટ થયું. જેની ધોષણા સંસદમાં થઇ અને 1990માં તમિલનાડુની માંગ મુજબ એક ટ્રિબ્યૂનલનું પણ ગઠન થયું. અને નિર્ણય લેવામાં આવ્યો કે કાવેરીનો નક્કી કરેલો પાણીનો હિસ્સો તમિલનાડુને મળવો જોઇએ. જે અંગે પણ કર્ણાટકે પાછળથી નનૈયો ભરી દીધો.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય
તમિલનાડુના કરારને તર્કસંગત જણાવતા 1924 કરાર મુજબ જે પાણીનો હિસ્સો તમિલનાડુ ત્યારે મળતો હતો તે અત્યારે પણ મળે તે માંગ સાથે તમિલનાડુ સુપ્રીમ કોર્ટમાં ગયું અને સુપ્રીમ કોર્ટે પણ તમિલનાડુના પક્ષમાં જ પોતાનો નિર્ણય સંભળાવ્યો.
ભડકી હિંસા
સુપ્રીમ કોર્ટે કર્ણાટક સરકારને 15 હજાર ક્યૂસેક પાણી 10 દિવસમાં તમિલનાડુને આપવાનો નિર્ણય જાહેર કર્યા જેના કારણે ફરી આ મામલે વિરોધ થયો. જે બાદ 12 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કાવેરી મામલે પોતાનો નિર્ણય બદલી નવા નિર્ણય મુજબ રોજનું 12000 ક્યૂસેક પાણી કર્ણાટકને તમિલનાડુને આપવાનું કહ્યું. સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય 20 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. અને બસ આ જ કારણે બન્ને રાજ્યોમાં હિંસા ભડકી ઉઠી છે.