આ બુલેટ ટ્રેન ખાલી ગુજરાતી વેપારીઓને ફાયદો કરશે: શિવસેના
બુલેટ ટ્રેનના વિરોધમાં ભાજપની સાથી પાર્ટી શિવસેનાએ મોટું નિવેદન આપ્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે બુલેટ ટ્રેનથી ખાલી ગુજરાતી વેપારીઓને ફાયદો થશે.
એક બાજુ જ્યાં ભાજપના નેતાઓ બુલેટ ટ્રેનનોશ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે ત્યાં જ બીજી તરફ શિવસેનાએ આ મામલે મોદી સરકારની ઝાટકણી નીકાળતા તેના પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ બુલેટ ટ્રેનના આ પ્રોજેક્ટથી ખાલી ગુજરાતી વેપારીઓને ફાયદો થશે તેમ કહી રોષ વ્યક્ત કર્યો છે. શિવસેનાના પ્રવક્તા મનિષા ખાંડેએ જણાવ્યું કે શિવસેના વિકાસના કાર્યોનો વિરોધ નથી કરતી પણ શું આપણે ખરેખરમાં બુલેટ ટ્રેનની જરૂર છે? કેન્દ્ર સરકારનું શું પ્રાથમિકતા છે તે જ નથી સમજાતું. વેપારીથી લઇને સામાન્ય લોકો પણ બુલેટ ટ્રેન લાવવાની માંગણી નથી કરી. ત્યારે 1,08,000 કરોડના પ્રોજેક્ટનો ફાયદો શું? તે ખાલી ગુજરાતના કેટલાક વેપારીઓને ફાયદો આપશે. અને આ પ્રોજેક્ટ ગુજરાતની ચૂંટણી માટે ખાલી પાર્ટીનો હિડન એજન્ડા છે.
તેણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટથી ખાલી પીએમ નરેન્દ્ર મોદી તેમના તાજમાં વિકાસના નામનું એક વધુ છોગું જોડવા માંગે છે. એટલું જ નહીં પાર્ટીના માઉથ પીસ સામનામાં પણ મોદીના આ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝાટકણી કાઢવામાં આવી હતી. તેમાં જણાવ્યું હતું કે અહીં ખેડૂતોની લોનથી લઇને શિક્ષણ અને સ્વાસ્થય જેવા અનેક મુદ્દાઓ જ્યારે સરકાર સામે ઊભા છે ત્યારે સરકાર તેની પ્રાથમિકતાને ભૂલી અવળે માર્ગે જતી રહી છે.