વિનોદ ખન્નાની જગ્યાએ કોણ બનશે BJPનો નવો ચહેરો?
વિનોદ ખન્ના ગુરદાસપુર બેઠક પરથી 4 વાર સાંસદ બની ચૂક્યા છે. વર્ષ 1998માં વિનોદ ખન્ના પહેલીવાર અહીંથી ચૂંટણી લડ્યા હતા અને અને વર્ષ 2009 સુધી આ બેઠક તેમની પાસે રહી હતી.
લોકપ્રિય બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાના મૃત્યુ બાદ ભાજપને પંજાબમાં માટે અન્ય એક લોકપ્રિય ચહેરાનો જરૂર છે. વિનોદ ખન્ના બાદ પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક માટે પેટા-ચૂંટણી યોજવામાં આવશે. ગુરદાસપુરની બેઠક પંજાબમાં ભારતનો ગઢ મનાય છે, પક્ષ કોઇ પણ ભોગે આ બેઠક પોતાના હાથમાં જ રાખશે. આ માટે ભાજપ પક્ષ કોઇ લોકપ્રિય ચહેરાની શોધમાં છે.
વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્ના
સૂત્રો અનુસાર વિનોદ ખન્નાના પત્ની કવિતા ખન્ના ગુરદાસપુરથી ચૂંટણી લડી શકે છે, સ્થાનિક ભાજપ કાર્યકર્તા પહેલા જ કવિતા ખન્ના પાસે અહીંથી ચૂંટણી લડવાની માંગણી કરી ચૂક્યાં છે. વિનોદ ખન્ના આ બેઠક પરથી ચાર વાર સાંસદ બની ચૂક્યા છે. 1998માં વિનોદ ખન્ના પહેલીવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા અને વર્ષ 2009 સુધી આ બેઠક તેમની પાસે હતી. વર્ષ 2009માં કોંગ્રેસના પ્રતાપ સિંહ બાજવાએ વિનોદ ખન્નાને માત આપી આ બેઠક કબજે કરી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વિનોદ ખન્નાને ફરીથી ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી અને તેઓ લગભગ 1.36 લાખ મતના અંતરથી ચૂંટણી જીત્યા.
કવિતા સૌથી મજૂબત દાવેદાર
વિનોદ ખન્નાના નિધન બાદ હવે ગુરદાસપુર બેઠક માટે પેટા-ચૂંટણી યોજાશે. સૂત્રો અનુસાર પંજાબ ભાજપનું માનવું છે કે, ગુરદાસપુરમાં કવિતા ખન્નાની વિનોદ ખન્નાના પત્ની સિવાયની પણ એક છબી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ કવિતાએ સક્રિય રીતે પ્રચાર અભિયાનમાં ભાગ લીધો હતો. વિનોદ ખન્નાની ગેરહાજરીમાં પણ તે જનતા સાથે હાજર રહ્યા હતા અને મહત્વપૂર્ણ જવાબદારીઓ પોતાના માથે લીધી હતી.
અક્ષય કુમાર અને ઋષિ કપૂરનું નામ ચર્ચામાં
વિનોદ ખન્નાના પત્ની સિવાય જે બે નામોની ચર્ચા ભાજપમાં થઇ રહી છે, તે છે અક્ષય કુમાર અને ઋષિ કપૂર. જો કે, અક્ષય કુમારે પોતે ચૂંટણી લડવાના હોવાની વાતને સ્પષ્ટપણે નકારી છે. અત્યાર સુધીના નામોની ચર્ચામાં કવિતા ખન્નાનું નામ જ સૌથી ઉપર સાંભળવા મળ્યું છે.
27 એપ્રિલના રોજ વિનોદ ખન્નાનું નિધન
ઉલ્લેખનીય છે કે, પોતાના જમાનાના લોકપ્રિય અભિનેતા વિનોદ ખન્નાનું 27 એપ્રિલના રોજ 70 વર્ષની ઉંમરે મુંબઇની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. વિનોદ ખન્ના લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા, મુંબઇના રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમની સારવાર થઇ રહી હતી. તેમના નિધનના થોડા દિવસો પહેલાં જ વિનોદ ખન્નાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
{promotion-urls}