આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કેમ છોડ્યો મોદીનો સાથ?
મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે આની પાછળ પર્સનલ કારણ દર્શાવ્યુ છે.
મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે આની પાછળ પર્સનલ કારણ દર્શાવ્યુ છે. તે હવે અમેરિકા પાછા જતા રહેશે. નાણામંત્રી અરુણ જેટલીએ રાજીનામાની જાણકારી આપી. આ વિશે તેમણે ફેસબુક પર એક લાંબી નોટ લખી છે. તેમણે લખ્યુ છે કે તેમના રાજીનામાનું કારણ પર્સનલ છે જે એમના માટે ઘણુ મહત્વનું છે અને મારી પાસે તેમના રાજીનામાને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. અરવિંદ સુબ્રમણ્યને 16 ઓક્ટોબર, 2014 ના રોજ મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યુ હતુ. આ પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાના પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને જૂન, 2016 માં રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને કહ્યુ હતુ કે પોતાનો કાર્યકાળ પૂરો થયા બાદ તે શૈક્ષણિક ક્ષેત્રમાં પાછા જતા રહેશે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે દેશના આર્થિક અને નીતિગત ક્ષેત્રમાં વિકાસ માટે સલાહ આપવા અને કામ કરનારા લોકો સરકારનો સાથ કેમ છોડી રહ્યા છે? આ સવાલ બીબીસીએ આર્થિક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતા અને એમકે વેણુને કર્યો.
વરિષ્ઠ આર્થિક પત્રકાર પરંજોય ગુહા ઠાકુરતાનો દ્રષ્ટિકોણ
અરવિંદ સુબ્રમણ્યને કહ્યુ છે કે તે પર્સનલ કારણોથી અમેરિકા જવા ઈચ્છે છે. આ પહેલા પણ નાણામંત્રી અરુણ જેટલીએ તેમના કાર્યકાળને વધારતા પહેલા પૂછ્યુ હતુ પરંતુ અરવિંદ સુબ્રમણ્યને ઈનકાર કરી દીધો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ પણ ફેસબુક પર તેમના જવા અંગેના નિર્ણય પર એક પોસ્ટ લખી છે કે તે પર્સનલ કારણોથી અમેરિકા જવા ઈચ્છે છે અને તેમની પાસે એમને રોકવાનો કોઈ વિકલ્પ નથી. માની લઈએ કે આવુ જ કંઈક છે. સરકાર અને નાણા મંત્રાલયમાં મુખ્ય સલાહકાર તરીકે અરવિંદ સુબ્રમણ્યને પસંદ કરવાનો નિર્ણય પણ અરુણ જેટલીનો જ હતો. ચાર વર્ષ પહેલા તે મુખ્ય સલાહકાર બન્યા હતા. તે સમયે તેમણે દેશમાં દવા નીતિની ટીકા કરી હતી. તે સમયે સવાલ ઉઠ્યો હતો કે તેમને કેમ પસંદ કરવામાં આવ્યા. એ પણ સાંભળવામાં આવ્યુ હતુ કે આરએસએસ અને સ્વદેશી જાગરણ મંચમા તેમની પસંદગીથી નારાજગી હતી. તો પણ તેમને આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા. આ પહેલા પણ ઘણા અર્થશાસ્ત્રી આવ્યા અને બાદમાં અમેરિકા પાછા ચાલ્યા ગયા, તેમની તુલના ના કરી શકીએ. અરવિંદ પનગઢિયા નીતિ આયોગનું પદ છોડીને ગયા હતા. જો અરવિંદ સુબ્રમણ્યન નાખુશ હતા તો ક્યારેય તેમણે એનો ઉલ્લેખ ના કર્યો. આપણે માની લઈએ કે રાજીનામા પાછળ તેમનું કોઈ પર્સનલ કારણ છે.
‘દેશની અર્થવ્યવસ્થા બહુ સારી નથી'
આરબીઆઈના ગવર્નર રહેલા રઘુરામ રાજન પોતે કહેતા હતા કે અમે અહીં નહિ રહીએ. આરએસએસ, સ્વદેશી જાગરણ મંચ અને સરકારના ઘણા લોકો નથી ઈચ્છતા કે તે આગળનો કાર્યભાર સંભાળે. સુબ્રમણ્યન સ્વામીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે તે રઘુરામ રાજનને નથી ઈચ્છતા. દબાણમાં કેટલાક લોકો તરત જતા રહે છે અને કેટલાક સમય લે છે. આજે દેશની જે અર્થવ્યવસ્થા છે તે બહુ સારી નથી. નોટબંધી અને જેએસટી જેવા નિર્ણયો ઉતાવળે લેવામાં આવ્યા છે. તેલના ભાવ વધી રહ્યા છે. આની અસર મોંઘવારી પર પડી રહી છે. બેરોજગારી ઘટાડવાના પ્રયત્ન કરવામાં નથી આવતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને જાતે આ દૂર કરવાની સલાહ આપી રહ્યા છે અને ઉદ્યમી બનવા માટે કહી રહ્યા છે. અર્થવ્યવસ્થા સારી નથી. આનાથી રઘુરામ રાજન દુઃખી હતા. એક વાત એ પણ છે કે આ સરકારમાં કોઈનું સાંભળવામાં આવતુ નથી. આર્થિક સમીક્ષા વાંચો અને પછી બજેટ જુઓ. તમને ખબર પડી જશે કે સરકારે કેટલી સલાહ સ્વીકારી અને કેટલાને નજરઅંદાજ કર્યા. સલાહકારનું કામ છે સલાહ આપવાનું અને નાણામંત્રી ઈચ્છે તો તેને શામેલ કરી શકે અથવા નજરઅંદાજ કરી શકે છે.
આર્થિક બાબતોના જાણકાર એમકે વેણુનો દ્રષ્ટિકોણ
અરવિંદ સુબ્રમણ્યને કહ્યુ છે કે આ મારી સૌથી સારી નોકરી રહી છે. રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂકેલ રઘુરામ રાજન માટે પણ આવુ જ કંઈક કારણ બતાવવામાં આવ્યુ હતુ. ત્યારે લોકોને ખબર હતી કે તેમને સરકાર સાથે ખાસ બનતુ નથી. જ્યાં સુધી અરવિંદ સુબ્રમણ્યનનો સવાલ છે ત્યાં સુધી તેમનો કાર્યકાળ સારો રહ્યો છે. તે બહારથી આવ્યા હતા એટલા માટે સલાહ પણ ખુલીને આપતા હતા. સરકારના જીએસટી લાગુ કરવાના નિર્ણયને તેમણે યોગ્ય નહોતો ગણાવ્યો. તેમણે કહ્યુ હતુ કે જે રીતે ટેક્સ રેટ નક્કી કરવામાં આવ્યા છે તે નહિ ચાલે.
સુબ્રમણ્યનની સલાહ પર જીએસટી દરો ઘટાડાયા
સામાન્ય જનતાના ઉપયોગની વસ્તુઓને 28 ટકા ટેકસ રેટમાં રાખવા પર તેમણે વાંધો દર્શાવ્યો હતો. થોડા મહિના બાદ સરકારે તેમની વાત માની અને ટેક્સ રેટ ઓછા કર્યા. બીજુ, નોટબંધી પર પણ તેમની સંમતિ નહોતી પણ તે ખુલીને બોલ્યા નહોતા. આર્થિક સર્વેક્ષણમાં તેમણે છેલ્લા ચાર વર્ષોમાં ખેડૂતોની આવકમાં કોઈ વધારો નહિ થયો હોવાની વાત કહી હતી. તેમણે રોકાણ પર પણ નાખુશી વ્યક્ત કરી. સરકારના ગુલાબી દાવાઓને તેમણે આંકડાઓ દ્વારા બેરંગ કરી દીધા. હવે ચૂંટણી આવી રહી છે. અરવિંદ સુબ્રમણ્યન સમજે છે કે હવે તેમની કોઈ ઉપયોગિતા બચી ન હોય. મને લાગે છે કે તેમણે પાછા જવાનો નિર્ણય પણ એટલા માટે જ લીધો હશે પરંતુ સાર્વજનિક રીતે તેમણે પર્સનલ કારણોનો ઉલ્લેખ કર્યો છે.