નરેન્દ્ર મોદીએ શા માટે માત્ર ગુજરાતીઓને બચાવ્યા? : શિવસેના
ભારતના ઉત્તરીય રાજ્ય ઉત્તરાખંડમાં મુશ્કેલીઓનો પાર નથી. એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે મદદ કરવા આગળ આવવાને બદલે રાજકીય પક્ષો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવાનું ચૂકી રહ્યા નથી. એનડીએના ઘટક પક્ષ શિવ સેનાએ નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને બચાવવા માટે કરેલી વ્યવસ્થા સામે પ્રશ્ન ઉભો કર્યો છે. શિવ સેનાનું કહેવું છે કે નરેન્દ્ર મોદી શા માટે માત્ર ગુજરાતીઓને બચાવી રહ્યા છે?
ઉત્તરાખંડની બળતી સમસ્યાઓમાં ઘી હોમતા હોય તેમ શિવસેના સહિતના રાજકીય પક્ષોએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તરાખંડ યાત્રા અંગે તેમના પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ મોદીને કહ્યું છે કે ઉત્તરાખંડમાં મોદી મદદના નામે પ્રાદેશિકતાનો પ્રચાર કરી રહ્યા છે.
શિવસેનાએ મુખપત્ર સામનામાં નરેન્દ્ર મોદીની કામગીરી પર નિશાન તાકવામાં આવ્યું છે. મુખપત્રમાં જણાવાયું છે કે ઉત્તરાખંડમાં કુદરતી હોનારતનો પ્રકોપ છે, આવા સમયે દેશના તમામ લોકોએ એક સાથે મળી તેમની મદદ માટે પ્રયત્નો કરવા જોઈએ નહિં કે, કોઈ એક રાજ્યના લોકો માટે આ પ્રયાસો હોવા જોઈએ. વધુમાં કહેવાયું છે કે મહારાષ્ટ્ર રાજ્ય પર પ્રાદેશિકતાવાદનો આરોપ મૂકવામાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની ઉત્તરાખંડ યાત્રાને પ્રાદેશિકતાનો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે. નરેન્દ્ર મોદી શા માટે માત્ર ગુજરાતીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.