શું વિપક્ષની એકતાને મજબુત કરવાની કવાયતમાં સફળ થશે કોંગ્રેસ? આ વર્ષે 9 રાજ્યોમાં યોજાશે ચૂંટણી
ભારત જોડો યાત્રાથી સ્પષ્ટ છે કે, આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષ યોજાનારી લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમણે 3000 કિલોમીટર કરતા વધુનો પ્રવાસ કર્યો છે અને હાલ ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશ પહોંચી છે. જોકે, કોંગ્રેસ નેતા ભારત જોડો યાત્રાને રાજકારણથી પ્રેરિત ન હોવાનું જણાવે છે. તેઓ ભારત જોડો યાત્રાને આંદોલન જણાવે છે, જેના દ્વારા અન્ય પક્ષોના લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ભારત જોડો યાત્રાથી સ્પષ્ટ છે કે, આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી વર્ષ યોજાનારી લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસ ફોકસ કરી રહી છે. આ કારણે કોંગ્રેસ નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં જણાવે છે કે, કોંગ્રેસ ચૂટણી પણ લડશે અને આંદોલન પણ કરશે.
કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા યોજવાની સાથે કોંગ્રેસે આ યાત્રાથી અળગા રહી ગયેલા રાજ્યોમાં પણ અલગ-અલગ યાત્રાઓ કાઢવાની શરૂઆત કરી છે.
આ ઉપરાંત હાથ સે હાથ જોડો અભિયાન ચલાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં કાર્યકરોએ ઘરે ઘરે જવું પડશે. એ અલગ વાત છે કે, જ્યારે ભાજપના નેતાઓ આક્ષેપ કરે છે કે, આ યાત્રા રાજકીય મેદાન તૈયાર કરવા માટે યોજવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ તેનું ખંડન કરતા જોવા મળે છે.
ગુરુવારના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય જયરામ રમેશ અને અન્ય નેતાઓ પણ કહેતા રહ્યા કે ભારત જોડો યાત્રા રાજકારણ માટે નથી, પરંતુ દેશમાં પ્રભુત્વ ધરાવતા ભાજપ અને આરએસએસની વિચારધારા સામે લડાઈ છે, પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે ભારત જોડો યાત્રામાં અન્ય રાજકીય પક્ષોના સમર્થન અંગે મીડિયાએ પૂછ્યું કે, શું લોકસભા ચૂંટણીમાં ભાજપની સામે વિપક્ષને મજબૂત કરવાનો હેતુ આ યાત્રાનો નથી, તો પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ કહે છે કે, કોંગ્રેસ મજબૂત હશે, તો તાકાત વિપક્ષ પણ મજબૂત હશે.
અત્યારે લોકસભાની ચૂંટણીમાં એક વર્ષની વાર છે, તે પહેલા આ વર્ષે જ નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જયરામ રમેશે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે, કોંગ્રેસ એક રાજકીય પક્ષ છે, તેથી અમે ચૂંટણી પણ લડીશું અને ભાજપ અને આરએસએસની વિચારધારા સામે પણ લડતા રહીશું.