શરદ યાદવ,અલી અનવરની રાજ્યસભા સભ્યતા પૂર્ણ, સંસદમાં હંગામો
શુક્રવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે, આ સત્રમાં વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ અંગે વધુ વાંચો અહીં.
શુક્રવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું છે, આ સત્રમાં વિપક્ષી દળોએ કેન્દ્ર સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. વિભિન્ન મુદ્દાઓને લઇને એનડીએ સરકારને ઘેરવા માટે વિપક્ષની એક બેઠકમાં વિચાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં પહેલા દિવસે શોક સમાચાર વાંચ્યા બાદ કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં શરદ યાદવ અને અલી અનવરની સભ્યતા પૂર્ણ કરવામાં આવી હતી, આ મામલે વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. શિયાળુ સત્ર પર ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોની પણ અસર પડશે, આથી આ સમગ્ર સત્ર હંગામાભર્યું થાય એવી પૂરી સંભાવના છે. સત્ર શરૂ થતાં પહેલાં સંસદ ભવન પહોંચેલ પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, મને આશા છે કે શિયાળુ સત્રમાં સકારાત્મક દલીલ થશે. આ સત્રથી દેશને લાભ થશે. સર્વદળ બેઠક પાસે પણ મને આશા છે કે, દેશને આગળ વધારવામાં તેઓ સકારાત્મક વિચારો સાથે આગળ વધશે. મને આશા છે કે, આ સત્રથી દેશનું લોકતંત્ર મજબૂત થશે.
સરકાર શિયાળુ સત્રમાં 25 લંબિત બિલ અને 14 નવા બિલ રજૂ કરી શકે છે. આમાં ત્રણ તલાકના મામલે મુસ્લિમ મહિલાને ભથ્થાના અધિકારનું બિલ પણ જોડાયેલું છે. ચૂંટણીને કારણે લગભગ 1 મહિના મોડા શરૂ થતાં આ સત્રની સમયમર્યાદા થોડી નાની હશે. ગત શિયાળુ સત્રના 21 દિવસીય કામકાજની સરખામણીમાં આ સત્રનું કામકાજ 14 દિવસ ચાલશે. આ નાનકડા સમયગાળામાં જ વિવિધ બિલ રજૂ થશે. આ સત્રમાં સરકારપર હુમલો કરવા માટે વિપક્ષ અર્થ વ્યવસ્થા, કૃષિ ક્ષેત્રની કથળેલી પરિસ્થિતિ, જીએસટી અને પ્રવર્તન એજન્સિઓના કથિત દુરૂપયોગનો મુદ્દો ઉઠી શકે છે. સંસદમાં કેન્દ્ર સરકારને આ મુદ્દાઓ પર ઘેરવા માટે પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ, રાકાંપા, તૃણમૂલ કોંગ્રેસ, સપા, રાજદ, નેશનલ કોંફ્રેંસ અને વામ દળો સહિત વિપક્ષી દળોના નેતાઓની રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના ખંડમાં બેઠક થઇ હતી.