80ની ઉંમરે નોકરીના "જેટલી વાર" પર, સિંહાનો કડક જવાબ
યશવંત સિંહાએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને નાણાં પ્રધાન અરુણ જેટલીથી લઇને તેમના પુત્ર જયંતના સવાલો પર કડક જવાબ આપ્યા. તેમણે કહ્યું ભાજપ સત્તામાં હોવા છતાં આ હાલ છે તે નિંદનીય છે.
દેશની અર્થવ્યવસ્થા પર ભૂતપૂર્વ નાણાં પ્રધાન યશવંત સિંહાએ લખેલા લેખ પછી શરૂ થયેલો વિવાદ હજી સુધી શમવાનું નામ નથી લેતો. એક પછી એક તેના જવાબો અને વિવાદો જોડાતા જાય છે. આ લેખ પછી ભૂતપૂર્વ નાણાં પ્રધાન સિંહા અને પ્રવર્તમાન નાણાં પ્રધાન અરુણ જેટલી વચ્ચેની તિરાડ સાફ દેખાઇને આવી હતી. આ મામલે તેમના પુત્ર જયંતે પણ એક લેખ લખીને જવાબ આપ્યો હતો. જે પછી યશંવત સિંહાએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને સરકારને કડક જવાબ આપ્યો છે. યશંવતે કહ્યું કે આપણે બહુ દિવસોથી જાણીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. વર્ષ 2014થી પહેલા જ્યારે હું પાર્ટીનો પ્રવક્તા હતો ત્યારે આર્થિક મુદ્દાઓની વાત આવતી તો અમે યુપીએ સરકારની સ્થિતિને પોલિસી પેરાલિસિસનું નામ આપતા. પણ આ વખતે અમારી સરકારને પૂર્ણ રીતે અવસર મળ્યો છે.
અરુણ જેટલી
નોંધનીય છે કે ગુરુવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન અરુણ જેટલીએ કહ્યું જો પુસ્તકનું શીષર્ક તેવું હોત કે 70 વર્ષનું ભારત, તો સાડા ત્રણ વર્ષની મોદી સરકાર અને 80ની ઉંમરે રોજગારીની તલાશ! આમ કહીને તેમણે એક રીતે પોતાના પર લાગેલા આરોપોનો વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
યશવંત સિંહે શું કહ્યું
યશંવત સિંહા કહ્યું જો મારે નોકરી જ કરવી હોત તો અરુણ જેટલી તે જગ્યાએ ના હોત. જયંતના લેખ પર પણ તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે તેનો લેખ મુદ્દાઓથી હટવાની વાત કરી છે. જો દેશની અર્થવ્યવસ્થા ખરાબ છે તો તેનો જવાબદાર નાણાં મંત્રી છે નહીં કે ગૃહ મંત્રી. વધુમાં તેમણે કહ્યું કે હું પણ વ્યક્તિગત આરોપ લગાવી શકું છું. પણ મારે તેમાં નથી પડવું. તેમણે કહ્યું મારા સવાલોથી મારા પુત્રનું કેરિયર ખરાબ થતું હોય તો થાય પણ રાષ્ટ્રહિતથી મોટું કોઇ હિત નથી.
રોજગાર ક્યાં છે?
સાથે જ તેમણે કહ્યું કે નોટબંધીના પરિણામોને જાણ્યા વગર સરકાર જીએસટી લઇ આવી. આજે જ્યારે નોકરી જ નથી રહી તો નોકરી આપશે ક્યાંથી? તેમણે કહ્યું કે આજે લોકોમાં રોજગારને લઇને ચિંતા છે. તેમણે કહ્યું કે આવા સમયે લાંબા સમયના ફાયદાની વાતો કરવી બેકાર છે. તેમણે વધુમાં કહ્યું કે નોટબંધી પહેલો ઝટકો હતો અને જીએસટી બીજો. આજે દેશની જનતા રોજગારી ઇચ્છે છે.
વિકાસ દર પડ્યો
સાથે જ તેમણે વિકાસ દર પડવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે બેંકોનું NPA નીચે લાવવું પડશે જેથી સુધારો રહે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસના મંત્રીઓને છોડી દઇએ તો ખાલી તે જ છે જેણે સાત બજેટ રજૂ કર્યા છે. ત્યારે જો તમે એક પછી એક ઝટકાઓ આપશો તો શું અર્થવ્યવસ્થા સ્થિર રહેશે? સાથે જ તેમણે કહ્યું કે નોટબંધીના કારણે સતત 6 મહિનાથી વિકાસ દર ઘટી ગયો છે.