પીએમ પદની રેસમાં કૂદ્યા યશવંત સિન્હા, કહ્યું- દર વર્ષે 2-3 કરોડ નોકરી આપી શકું
મોદી ન કરી શક્યા તે કરી બતાવવા સક્ષમ છે યશવંત સિન્હા!!
નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હા હંમેશા મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યા છે અને સરકારની નીતિઓ વિરુદ્ધ ખુલીને બોલતા આવ્યા છે. તેમણે મોદી સરકારને એક પ્રસ્તાવ આપ્યો છે કે તેઓ રોજગારી સર્જન, રસ્તાઓનું નિર્માણથી લઈ ઉદ્યોગોને આગળ વધારવામાં પણ સક્ષમ છે. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે દેશની સૌથી મોટી સમસ્યા છે કે મોદી સરકાર દરમિયાન કરોડો રોજગારનું સર્જન નથી થયું.
રોજગારને લઈ સવાલ ઉઠાવ્યો
અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલ યશવંત સિન્હાએ કહ્યું કે દેશની સમસ્યા એ છે કે કરોડો રોજગાર સર્જન ન થયું અને લાખો કિમીના રસ્તાનું નિર્માણ ન થયું, ભારતને એક એવા નેતાની જરૂરત છે જે કૃષિને ફાયદાનો સોદો બનાવી શકે, સિંચાઈ યોજના બનાવી શકે, શહેરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડે. આપણે દેશમાં કેટલાંય કામ કરવાની જરૂરત છે. આપણે કોઈ એવા નેતાની જરૂર છે જે આ બધી વાતો સમજી શકે અને એ દિશામાં કામ પ્રારંભી શકે.
હું ખુદ કરી શકું આ કામ
સિન્હાને પૂછવામાં આવ્યું કે તમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છો કે આ બધાં કામ કરી શકે તે કોણ હોય શકે છે તો તેમણે કહ્યું કે અત્યારે મારા દિમાગમાં એવો કોઈ વ્યક્તિ નથી. આ કામ માટે મારા દિમાગમાં જે સૌથી નજીકનો વ્યક્તિ છે તે અત્યારે હું ખુદ છું. વિપક્ષી દળ જે રીતે એકજુટ થઈ રહ્યા છે અને આગામી ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે તૈયારી કરી રહ્યા છે તેના પર સિન્હાએ કહ્યું કે વિપક્ષના બધા જ નેતા પીએમ પદના ઉમેદવાર છે.
ગડકરી ન લઈ શકે મોદીની જગ્યા
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના પીએમ બનવાના સવાલ પર સિન્હાએ કહ્યું કે ગડકરી નરેન્દ્ર મોદીની જગ્યા ન લઈ શકે, કેમ કે જો 2019ની ચૂંટણીમાં ભાજપ 200થી ઓછી સીટ પર જીતે છે તો પણ મોદી અને અમિત શાહ રિટાયર નહિ થાય. નીતિન ગડકરી માટે પીએમ બનવાની કોઈ ઉમ્મીદ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ અંગેનો રિપોર્ટ સામે આવ્યો હતો કે નીતિન ગડકરી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે, જો કે ખુદ ગડકરીએ આ વાતને ફગાવતા તમામ કાર્યકરોને અપિલ કરી હતી કે પીએમ મોદીને પૂરી તાકાત સાથે બીજી વખત પીએણ બનાવવા માટે કામે લાગી જાય.
બધું જ મોદી-શાહના હાથમાં
યશવંત સિન્હાએ કહ્યું કે હું આવું એટલા માટે કહી રહ્યો છું કે હું જાણું છું કે જેવી રીતે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહે બધું પોતાના હાથમાં લઈ રાખ્યું છે, તેવા હાલાતમાં જો ભાજપ 200થી ઓછી સીટ પણ જીતે છે તો પણ આ બંને નેતા રિટાયર નહિ થાય. આ સારી બાબત છે કે કેટલાક મીડિયા સંસ્થાન નીતિન ગડકરીને આગળ વધારી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ પીએમ મોદીની જગ્યા લઈ શકે છે. જો કે તેમણે સંભાવનાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.