
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યશવંત સિન્હા હશે સંયુક્ત ઉમેદવાર, વિપક્ષની બેઠકમાં લેવાયો નિર્ણય
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે મંગળવારે આની જાહેરાત કરતા કહ્યું કે, અમે (વિરોધી પક્ષોએ) સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે યશવંત સિંહા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હશે.
યશવંત સિંહા આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી માટે વિપક્ષની બેઠકમાં હાજરી આપવાના છે. આ મીટિંગમાં હાજરી આપતા પહેલા યશવંત સિંહાએ ટ્વીટ કર્યું હતું કે ટીએમસીમાં મને જે સન્માન અને પ્રતિષ્ઠા અપાવી છે તેના માટે હું મમતા બેનર્જીનો આભારી છું. હવે સમય આવી ગયો છે જ્યારે મોટા રાષ્ટ્રીય હેતુ માટે મારે પક્ષથી દૂર રહીને વિપક્ષી એકતા માટે કામ કરવું જોઈએ. મને ખાતરી છે કે પાર્ટી મારા પગલાને સ્વીકારશે.
I am grateful to Mamataji for the honour and prestige she bestowed on me in the TMC. Now a time has come when for a larger national cause I must step aside from the party to work for greater opposition unity. I am sure she approves of the step.
— Yashwant Sinha (@YashwantSinha) June 21, 2022
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે યશવંત સિન્હાના પ્રચારને આગળ વધારવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. વિપક્ષની આ ચૂંટણીના કારણો જણાવતા રમેશે કહ્યું કે યશવંત સિંહા ખાસ કરીને લાયક ઉમેદવાર હશે. તેઓ એક એવી વ્યક્તિ છે જે ભારતના બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી ફેબ્રિકમાં વિશ્વાસ રાખે છે. શરદ પવારે જણાવ્યું કે યશવંત સિન્હા 27 જૂને 11.30 વાગ્યે ઉમેદવારી નોંધાવશે.
જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દીપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બાનર અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઓવૈસીની પાર્ટીના સાંસદ ઈમ્તિયાઝ જલીલ પણ હાજર હતા.
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે એવા ઉમેદવારને સામે રાખવામાં આવે જે લોકશાહીનું રક્ષણ કરી શકે. ખડગેએ આરોપ લગાવ્યો કે સરકારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે સર્વસંમતિ બનાવવા માટે કોઈ ગંભીર પ્રયાસ કર્યા નથી. નોંધપાત્ર વાત એ છે કે, વિરોધ પક્ષોની છેલ્લી બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ એનસીપી વડા શરદ પવારના નામનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ પવારે આ દાવો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ સિવાય ગોપાલ કૃષ્ણ ગાંધીનું નામ પણ સામે આવ્યું હતું. તેમણે પણ ઉમેદવાર બનવાની ના પાડી દીધી હતી.
લગભગ અઢી દાયકા સુધી ભાજપમાં સક્રિય રહીને દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવનાર યશવંત સિન્હાએ IASની નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1937માં બિહારમાં કાયસ્થ પરિવારમાં જન્મેલા યશવંત સિંહાએ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાણાં અને વિદેશ બાબતો જેવા મહત્ત્વના મંત્રાલયો સંભાળ્યા છે.