ભારતને ગાયની પૂજા કરતા PMથી આઝાદ કરીશું: ઝાકિર મૂસા
આતંકી ઝાકિર મૂસાએ જાહેર કરી ઑડિયો ટેપ. ઝાકિરે કહ્યું, ભારતને મોદીથી આઝાદી અપાવીશું. આ ઑડિયો ટેપને પોલીસ આતંકી હુમલાની ધમકી માની રહી છે.
બકરી ઇદના એક દિવસ પહેલાં આતંકી સંગઠન અંસાર ગજાવટ ઉલ હિંદ, જે કાશ્મીરનું અલ કાયદાનું જ એક યુનિટ છે, તેના કમાન્ડર ઝાકિર મૂસાએ 10 મિનિટની એક ઑડિયો ટેપ જાહેર કરી છે. આ ટેપમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી છે. ઝાકિરે આ ટેપમાં કહ્યું છે કે, તે ભારતને ગાયની પૂજા કરનારા વડાપ્રધાન મોદીથી આઝાદ કરશે. સાથે જ તેણે હિંદુઓને પણ ધમકી આપી છે. મૂસાએ પોતાના ઑડિયો ટેપમાં કહ્યું છે કે, પીએમ મોદી ગાયની પૂજા કરે છે, તે પોતાની રાજનીતિ અને કૂટનીતિથી ઘણું બધું મેળવી શકે છે, પરંતુ એ એમને રોકી નહીં શકે. અમે ભારતમાં ઇસ્લામનો ઝંડો લહેરાવીશું. અમે ભારતને ગાયની પૂજા કરતા મોદી અને હિંદુઓથી સ્વતંત્ર કરીશું.
રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે પણ આપી ધમકી
ઝાકિર મૂસા હિજબુલ મુજાહિદ્દીનનો ભૂતપૂર્વ કમાન્ડર છે, તેણે જમ્મુમાં રોહિંગ્યા મુસલમાનોના મુદ્દે પણ કેન્દ્ર સરકારને ધમકી આપી છે. નોંધનીય છે કે, ગત અઠવાડિયે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તે દેશમાં વસતા 40 હજાર રોહિંગ્યા મુસલમાનોને બહાર કાઢશે. માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ કુલ 6 હજાર રોહિંગ્યા મુસલમાનો રહે છે. આ મુદ્દે ધમકી આપતા મૂસાએ કહ્યું છે કે, જો રોહિંગ્યા મુસલમાનોને બહાર કાઢવામાં આવ્યા, તો તેનું પરિણામ સારું નહીં આવે.
પાકિસ્તાન પર પણ ઉતાર્યો ગુસ્સો
કાશ્મીર જિહાદીઓનો સાથ નહીં આપવા માટે તથા તેમની સાથે દગો કરવા બદલ ઝાકિર મૂસાએ પાકિસ્તાન પર પણ ગુસ્સો ઉતાર્યો છે. અમેરિકાના મુજાહિદ્દીન વિરુદ્ધના અભિયાનમાં પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો હતો, આ માટે મૂસાએ પાકિસ્તાનને પણ ધમકી આપી છે. મૂસાએ કાશ્મીરના જિહાદી આંદોલન વિરુદ્ધ પાકિસ્તાનના વલણ પર હુમલો કરતાં કહ્યું કે, ઇસ્લામાબાદે અનેક ટ્રેનિંગ કેમ્પ(આતંકી કેમ્પ) બંધ કર્યા છે, કાશ્મીરના અનેક જિહાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તો કેટલાક મુજાહિદ્દીનને જેલમાં બંધ કરવામાં આવ્યા છે.
પથ્થરને બનાવ્યા હથિયાર
પોતાની આ ટેપમાં મૂસાએ આગળ કહ્યું કે, અનેક દગાબાજી અને અપ્રમાણિકતા બાદ પણ આજે કાશ્મીરમાં જિહાદ ચાલુ છે, અલ્લાહની કૃપાથી ચાલુ છે અને આગળ પણ રહેશે. મૂસાએ પોતાની ઑડિયો ટેપમાં એવો પણ દાવો કર્યો છે કે, પાકિસ્તાને ભારત સાથે હાથ મિલાવી લીધો છે, જેથી તે કાશ્મીરમાં જિહાદના રસ્તે જતા મુજાહિદ્દીનને રોકી શકે. તેણે આગળ કહ્યું કે, કૂટનીતિ અને રાજકારણના નામે જિહાદની પીઠમાં છરી ભોંકવામાં આવી છે. તેણે આ સંદેશમાં પાકિસ્તાનની સરકાર અને સેનાને પોતાના દુશ્મન ગણાવ્યા છે. તેણે કહ્યું કે, કાશ્મીરના જિહાદીઓને પાકિસ્તાનની મદદની જરૂર નથી, મુજાહિદ્દીનીઓએ પોતાના લોહીથી ત્યાં(કાશ્મીરમાં) જિહાદને જીવંત રાખ્યું છે, અમે તો પથ્થરને પણ ભારતીય સેના વિરુદ્ધના હથિયારમાં બદલી કાઢ્યા છે.
આતંકી હુમલાની ધમકી
ઝાકિર મૂસાનો આ સંદેશ યૂટ્યૂબ ચેનલ અંસાર ગજવા પર જાહેર કરવામાં આવ્યો છે, તેના સમર્થકોએ આ સંદેશ અન્યો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. મૂસાનો આ સંદેશ કાશ્મીરી ભાષા અને લહેકામાં સંભળાઇ રહ્યો છે. જે રીતે મૂસા આ સંદેશ બોલી રહ્યો છે, એના પરથી સ્પષ્ટ થાય છે કે તે અલ કાયદાની લખેલી કોઇ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. પોતાના સંદેશમાં મૂસા કાશ્મીરી આંતકીઓને ઇસ્લામી જિહાદી કહેતો સાંભળવા મળે છે. શ્રીનગર પોલીસનું માનવું છે કે, આ સંદેશ મૂસા તરફથી આતંકી હુમલાની ખુલ્લી ધમકી છે.