Video : લગ્નના 3 દિવસ પહેલા LRD જવાને કરી આત્મહત્યા
મોરબીમાં લગ્નના ત્રણ દિવસ પહેલા જ અમદાવાદમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા યુવાને નદીમાં ઝંપલાવી મોતને વહાલુ કર્યુ. જુઓ તેનો વીડિયો
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામમાં રહેતા અને અમદાવાદમાં એલઆરડી (લોક રક્ષક દળ) પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 26 વર્ષીય યુવકે મોરબી શહેરમાં આવેલા ઝુલતા પુલ પરથી મચ્છુ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઇ ગઇ છે. આ ઘટના બુધવારે મોડી સાંજે બચી હતી અને આ ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગઇ હતી. આ બનાવની વિગતો એવી છે કે ભરત કાનજી ગોહિલ હળવદના ચરાડવા ગામનો રહેવાસી હતો અને તે છેલ્લાં બે વર્ષથી અમદાવાદ શહેરમાં એલઆરડી જવાન તરીકે નોકરી કરતો હતો. આગામી 11મી માર્ચના રોજ તેને લગ્ન હોવાને કારણે તે 10 દિવસ પહેલા રજા લઇને અમદાવાદથી તેના ગામ આવ્યો હતો અને ગઇકાલે મોરબીમાં લગ્નની ખરીદી કરવા માટે મોરબી આવ્યો હતો.
જો કે શંકાસ્પદ સંજોગોમાં તેણે શોંપીગ કરવાને બદલે ઝુલતા પુલ પરથી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ, તેનો મૃતદેહ મળી શક્યો નહોતો. પણ, સ્થળ પરથી તેને શર્ટના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી અને તેમાં તેણે લખ્યુ હતુ કે પોતાના જીંદગીથી કંટાળી ગયો છે. જેથી આ અંતિમ પગલુ ભરી રહ્યો છે અને આ માટે કોઇ જવાબદાર નથી.
આ બનાવ સીસીટીવીમાં રેકોર્ડ થઇ ગયો હતો અને જેમાં દેખાઇ છે કે તે બ્રીજના વચલા છેડે આવે છે અને પહેલા ચપંલ , પછી શર્ટ કાઢે છે અને ઉંડા શ્વાસ લઇને બ્રીજની જાળીના સહારે ઉપર ચડીને નદીમાં કુદી જાય છે.સ્થાનિક પોલીસે આ અંગે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે આત્મહત્યા પાછળ ક્યુ કારણ જવાબદાર છે તે અંગે સુસાઇડ નોટમાં ખુલાસો થયો નથી. જેથી. પોલીસ હવે મૃતકનો મોબાઇલ ફોન જપ્ત કરીને તપાસ કરશે. જ્યારે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે ભરત જ્યારથી અમદાવાદથી આવ્યો હતો ત્યારથી ચિતિંત રહેતો હતો અને કોઇ સાથે બહુ વાત કરતો નહોતો જેથી તેની સાથે કોઇ ઘટના બની હોવાની શક્યતા છે.